ભરુચમાં ઉબડ ખાબડ માર્ગના કારણે આખે આખો પરિવાર મોતને ભેટયો

ભરુચ જિલ્લાના નેત્રંગ અને થવા ગામની વચ્ચે ઉબડ ખાબડ માર્ગના કારણે આખે આખો પરિવાર મોતને ભેટયો છે. રાત્રિના સમયે માર્ગ ઉપરના ખાડાને બચાવવા જતાં એક કાર બળદેવા ડેમની ખાડીમાં ખાબકી અને તેમાં બેઠેલા પતિ પત્ની અને ૩ વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યા હતા. બિસ્માર માર્ગે પરિવારનો ભોગ લેતા પંથકમાં રોષ સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે. ખાડીમાં પાણી વધુ હોવાથી કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓ ડૂબવા લાગ્યા હતા. બચવા માટે બુમરાણ તો મચાવી પરંતુ રાત્રિના સમયે કોઈ મદદે આવી શકે તેમ ન હતું. અને ત્રણેય વ્યક્તિઓના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યાં હતા. બનાવ અંગે જાણ થતાં જ નેત્રંગ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામા આવ્યા હતા ઘટના અંગે સંદીપ ભાઈના પિતા લવઘન વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વડિયા ગામની દેવનારાયણ સોસાયટીમાં રહેતા નિવૃત પોલીસ અધિકારી એલ.યુ.વસાવાનો ૩૮ વર્ષીય પુત્ર સંદીપકુમાર વસાવા તેની પત્ની યોગિતા અને ૩ વર્ષની પુત્રી મહી ત્રણેય નેત્રંગ ખાતે રહેતા હતા. યોગિતા વસાવા નેત્રંગ તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતી. રાત્રીના હોટેલમાં જમીને તેઓ ઘરે પરત ફરતા હતા ત્યારે રમણપુરા ખાતે બ્રીજ પાર રસ્તો ખુબ ખરાબ હોવાથી કાર ચલાવતા સંદીપે ખાડો બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બ્રીજ નીચે કાર ડેમના રિઝર્વ પાણીના તળાવમાં ખાબકી હતી. ઘટનાની જાણ રાજપીપળામાં થતા પરિવારના સભ્યો નેત્રંગ ખાતે દોડી ગયા હતા. અને નાના દીકરાનો પરિવાર વિખરાઈ જતા વડિયા ગામ હીબકે ચઢ્યું હતું. સવારે રાજપીપળા વડિયા ખાતે આવેલ દેવનારાયણ સોસાયટીમાંથી એક સાથે પિતા, માતા અને પુત્રી એમ એક પરિવારના ત્રણ સભ્યોની એક સાથે મૃતદેહો જોઈ ગામ આખું હીબકે ચઢ્યું હતું. ત્યારે તેમની અંતિમ યાત્રામાં જોડાવા મોટી સંખ્યામાં લોકો તેમના રહેઠાણ ખાતે ઉમટ્યાં હતા.