એલિસબ્રીજ પાસે હોસ્પિટલમાં આગ, ૨૧ દર્દીઓને બચાવાયા

ગુજરાતમાં કોવિડ હોસ્પિટલોમાં આગનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગુજરાતમાં વધુ એક હોસ્પિટલમાં આગ લાગી હતી. અમદાવાદના એલિસબ્રીજ વિસ્તાર પાસે આવેલી કોવિડ હોસ્પિટલમાં ગઈકાલ મોડી રાત્રે શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. આગના બનાવનો મેસેજ ફાયરને મળતાની સાથે જ એક પછી એક ફાયર વિભાગની ૮ જેટલી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવી લીધી હતી. સદનસીબે એક પણ કોરોનાગ્રસ્ત દર્દીને જાનહાનિ થઈ નથી.

એલિસબ્રીજ ટાઉન હોલ પાસે આવેલી હ્રદય સે કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. આઈસીયુમાં એડમિટ સહિતના ૨૧ દર્દીઓને સહીસલામત બચવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નથી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા આઇસીયુ વોર્ડમાં એકાએક ભીષણ આગ લાગી હતી તેવું હોસ્પિટલના ડિરેક્ટર સુરેન્દ્ર છાંજેડે જણાવ્યું.

મહત્વનું એ છે કે, આ એ જ હોસ્પિટલ છે, જેમાં આજથી એક વર્ષ અગાઉ ઓક્સિજન લીક થવાની પણ ઘટના બની હતી. હજી બે દિવસ પહેલા ૫ મેના રોજ આ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે લાગેલી આગમાં ૨૧ જેટલા કોરોના ગ્રસ્ત દર્દીઓને બચાવી લેવામાં સફળતા હાંસલ થઇ હતી. આ મોકડ્રીલમાં સ્ટાફને પણ ટ્રેનિંગ આપવામાં.આવી હતી.