શતાબ્દી એક્સપ્રેસના કોચમાં ભયંકર આગ લાગતા ચકચારઃ તમામ મુસાફરો સુરક્ષિત

મોટી જાનહાનિ ટળી,આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું તારણ

દિલ્હીથી દેહરાદૂન જતી શતાબ્દી ટ્રેનના એક કોચમાં ભયંકર આગ લાગી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ કહેવાય છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઇને ઇજા થઇ નથી. એન્જિનથી આઠમા કોચમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ આકોચને ટ્રેનથી અલગ કરી દેવાયો. ત્યારબાદ ફાયરબ્રિગેડને બોલાવામાં આવી. ગાર્ડની તરફથી મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઇ ઘાયલ થયું નથી. આ કોચમાં ૩૫ પેસેન્જર હતા જેમને બીજા કોચમાં શિફ્ટ કરી દેવાયા.

સ્થિતિ સામાન્ય થયા બાદ ટ્રેન પોતાના ગંતવ્યની તરફ નીકળી. આપને જણાવી દઇએ કે શતાબ્દી ટ્રેનના એક કોચ સી-૪માં આ આગ લાગી. ઘટના દરમ્યાન ઇમરજન્સી બ્રેક લગાડીને ટ્રેનને રોકી દીધી. ઘટના રાયવાલા અને કાંસરો રેન્જની વચ્ચે બની.

ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારના મતે ઘટના કાંસરોની પાસે બની. દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનમાં લાગેલી આગનું કારણ શોર્ટ સર્કિટ હતું. રેલવેના અધિકારી અને જીઆરપી પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી.