સોલોમન આઈલેન્ડમાં ૭.૦ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, સુનામી છે ચેતવણી

ઈન્ડોનેશિયા બાદ હવે સોલોમન આઈલેન્ડમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. સોલોમન આઈલેન્ડના માલાંગોમાં આજે વહેલી સવારે પૃથ્વી ધ્રૂજી ઉઠી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ ભૂકંપ જોરદાર હતો, કારણ કે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૦ માપવામાં આવી હતી. સવારે ૭.૩૩ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જે બાદ લોકો ઘરની બહાર દોડતા જોવા મળ્યા હતા. ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જારી કરવી પડી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર રાજધાની હોનિયારાથી લગભગ ૫૬ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં ૧૩ કિલોમીટરની ઊંડાઈએ હતું. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ સોલોમન ટાપુઓમાં ખતરનાક દરિયાઈ મોજા ઉભી કરી શકે છે, પરંતુ સુનામીના વ્યાપક સ્તરની આગાહી કરી નથી. સોલોમન ટાપુ ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. આ પહેલા ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં સોમવારે આવેલા તીવ્ર ભૂકંપ અને આફ્ટરશોક્સના કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા.

ભૂકંપ સંબંધિત ઘટનાઓને કારણે ઇન્ડોનેશિયામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૬૨ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપથી ડઝનેક ઈમારતોને નુકસાન થયું હતું અને શેરીઓ અને ગલીઓમાં પોતાના જીવ બચાવવા ભાગ્યા હતા તો ઘણા લોકો ઘાયલ અને લોહીથી લથપથ જોવા મળ્યા હતા. જાવાના ગવર્નર રિદવાન કામિલે જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધીને ૧૬૨ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના બાળકો છે. તેમણે કહ્યું કે ભૂકંપ સમયે પબ્લિક સ્કૂલમાં ભણતા મોટાભાગના બાળકો અભ્યાસ પૂરો કર્યા બાદ ઈસ્લામિક સ્કૂલોમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. સિયાંજુરમાં સૌથી વધુ સંખ્યામાં ઇસ્લામિક રેસિડેન્શિયલ સ્કૂલ અને મસ્જિદો છે.

યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ૫.૪-તીવ્રતાનો ભૂકંપ પશ્ચિમ જાવા પ્રાંતના સિઆનજુર પ્રદેશમાં ૧૦ કિલોમીટર (૬.૨ માઇલ) ની ઊંડાઈ પર કેન્દ્રિત હતો. ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર અને ક્લાઈમેટોલોજી અને જિયોફિઝિકલ એજન્સી અનુસાર, ભૂકંપ પછી વધુ ૨૫ આફ્ટરશોક્સ નોંધાયા હતા. વિશાળ દ્વીપસમૂહ રાષ્ટ્રમાં ધરતીકંપો વારંવાર આવે છે, પરંતુ જકાર્તામાં તેનો અનુભવ કરવો અસામાન્ય છે. ઈન્ડોનેશિયાની વસ્તી ૨૭ કરોડથી વધુ છે અને તે વારંવાર ભૂકંપ, જ્વાળામુખી ફાટવા અને સુનામીથી પ્રભાવિત થાય છે.