ઝૂંપડામાં આગ લાગતા એક જ પરિવારના ૬ના મોત

ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામકોલા શહેરમાં એક જ પરિવારના છ લોકો ઝૂંપડામાં આગ લાગવાથી મૃત્યુ પામ્યા. આ અકસ્માતમાં માતા અને પાંચ બાળકોના મોત થયા છે. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર એકથી ૧૦ વર્ષની વચ્ચે હતી. આજુબાજુ બધા સુતા હતા. આગની ઘટનાની જાણ થતાં જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્યમાં લાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તમામના મોત થઈ ચૂક્યા હતા. એસપી ધવલ જયસ્વાલે જણાવ્યું કે ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગની આ ઘટનામાં પતિ સલામત છે, તેણે ભાગીને જીવ બચાવ્યો હતો.

રામકોલાના વોર્ડ નંબર બેમાં નવમી પ્રસાદ રાત્રે ૧૦ વાગ્યે જમ્યા બાદ પત્ની અને બાળકો સાથે ઝૂંપડીમાં સૂઈ રહ્યા હતા. વોર્ડના લોકોના જણાવ્યા મુજબ રાત્રે લગભગ એક વાગ્યે જોરદાર અવાજ આવતા લોકો જાગી ગયા ત્યારે નવમીની ઝૂંપડી સળગી રહી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ પહોંચ્યા અને આગમાં સપડાયેલા નવમીની પત્ની સંગીતા (૩૮), પુત્ર અંકિત (૧૦), પુત્રી લક્ષ્મી (૦૯), રીટા (૦૩), ગીતા (૦૨) અને બાબુ (૦૧)ને બહાર કાઢ્યા. તેઓને એમ્બ્યુલન્સ દ્વારા સીએચસીમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. લોકોએ જણાવ્યું કે આગ એટલી ઝડપથી ફેલાઈ કે અંદર સૂઈ રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો ન મળ્યો. નવમીના પિતા સરજુ બાજુના ઝૂંપડામાં સૂતા હતા. આગ લાગતા તેમણે ચીસો પાડી લોકોને જાણ કરી. પાંચ પૌત્રોના મૃત્યુને કારણે રડતા રડતા સરજુની હાલત ખરાબ છે. સ્થાનિક લોકો આશ્વાસન આપી રહ્યા છે. નવમીનો પરિવાર સાવ બરબાદ થઈ ગયો હોવાનું લોકો અફસોસ સાથે કહી રહ્યા હતા. નવમીએ મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

આ ઘટના જિલ્લાના રામકોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધ્યરાત્રિની છે. આગના કારણે આખા ગામમાં ચકચાર મચી ગઈ હતી. એક જ પરિવારના છ લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે. સ્વજનોના આક્રંદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્‌યો હતો. સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. દરેકના મોઢામાંથી એક જ વાત નીકળે છે કે ભગવાને આવો દિવસ કોઈને ન બતાવવો જોઈએ.