દિલ્હીમાં કોવિડ-૧૯ના ૫૩૫ નવા કેસ, સંક્રમણ દર ૨૩%ને પાર, એક જ દિવસમાં ૫૦૯ લોકો સંક્રમિત

દિલ્હીમાં શનિવારે કોવિડ-૧૯માં ૫૩૫ નવા કેસ સામે આવ્યા છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતા પ્રમાણે સંક્રમણનો દર ૨૩.૦૫% છે. રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે ૧૯.૯૩ ટકાના સંક્રમણ દર સાથે કોવિડના ૭૩૩ નવા કેસ નોંધાયા હતા, જે સાત મહિનામાં સૌથી વધુનો આંકડો હતો. દિલ્હીમાં ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ સંક્રમણના ૬૨૦ કેસ સામે આવ્યા હતા. ગુરુવારે ૧૬.૯૮ ટકાના સંક્રમણ દર સાથે ૬૦૬ કેસ નોંધાયા હતા. જ્યારે આ સમયગાળા દરમિયાન રોગચાળાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. બુધવારે શહેરમાં સંક્રમણનો દર ૨૬.૫૪ ટકા નોંધાયો હતો, જે લગભગ ૧૫ મહિનામાં સૌથી વધુ છે. આ દરમિયાન એક જ દિવસમાં ૫૦૯ લોકો સંક્રમિત જોવા મળ્યા હતા.

સ્વાસ્થ્ય બુલેટિન પ્રમાણે અત્યારે શહેરમાં કોવિડ-૧૯થી મૃત્યુઆંક ૨૬,૫૩૬ પર સ્થિર છે. દિલ્હીમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણની સંખ્યા વધીને ૨૦,૧૩,૯૩૮ થઈ ગઈ છે. શુક્રવારે ૨,૩૨૧ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં H3N2ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં અચાનક થયેલા વધારા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડના નવા કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. આ સાથે દેશની રાજધાનીમાં છેલ્લા કેટલાય દિવસોથી કોવિડ-૧૯ના કેસમાં તેજીથી થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખતા દિલ્હી સ્વાસ્થ્ય વિભાગે હોસ્પિટલો, પોલીક્લીનિકો અને દવાખાનાની તપાસ કરવાની સુચના આપવામાં આવી છે. સુત્રો દ્વારા શનિવારે આ જાણકારી આપવામાં આવી છે. શહેરમાં ૩૦ માર્ચથી સાત એપ્રિલ સુધી કોરોના વાયરસના ૩,૮૦૦થી પણ વધારે કેસ સામે આવ્યા છે. સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે હોસ્પિટલો, પોલીક્લીનિકો અને દવાખાનાઓને કોવિડ ટેસ્ટિંગ વધારવા માટે સુચના આપવામાં આવી છે. એક સુત્ર દ્વારા એવી પણ માહિતી મળી છે કે, ‘આ આરોગ્ય કેન્દ્રોને કહેવામાં આવ્યું છે કે તાવ, ઉધરસ, શરીરમાં દુખાવો જેવા લક્ષણો ધરાવતા કોઈપણ દર્દીનું કોવિડ ટેસ્ટ કરવામાં આવે, કારણ કે દૈનિક કેસોની સંખ્યા સતત વધી રહી છે.