ગીર સોમનાથમાં રેડ એલર્ટ વચ્ચે સુત્રાપાડામાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો

હવમાન વિભાગે અને આવતીકાલ બે દિવસ ગીર સોમનાથ જિલ્લા માટે રેડ એલર્ટ આપી ભારે વરસાદ વરસવાની આગાહી કરી હતી. જેની અસર વર્તાતી જિલ્લાના સુત્રાપાડા પંથકમાં જોવા મળી હોય તેમ સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેર-પંથકમાં દસેક વાગ્યાથી ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયા બાદ બે કલાક સુધી અવિરત ચાલુ હતો. આમ સવારે સુત્રાપાડા શહેર-પંથકમાં ૧૦૪ મિમી એટલે ૪ ઈંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. જ્યારે સુત્રાપાડામાં બપોરે સુધી વધુ ૧ ઈંચ અને તાલાલામાં ૧.૫ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સુત્રાપાડા શહેરમાં કુંભારવાડા, કાનાવડલી વિસ્તાર, ભક્તિનગર, તાલુકા શાળા અને કોર્ટ ક્વાર્ટર સહિતના વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જ્યારે પંથકના ખેતરોમા વરસાદી પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયા હતા.

સુત્રાપાડામાં સતત થોડા દિવસોથી પડી રહ્યા બાદ આજના ધોધમાર વરસાદના પગલે ભરપુર આવકના લીધે પંથકની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યુ હતુ. જેના લીધે નદીના પટમાં આવેલું પ્રખ્યાત પ્રાંચી તીર્થનું માધવરાય ભગવાનનું મંદિર ફરી જળમગ્ન થઈ ગયુ હતુ. જાણે મેઘરાજા માધવરાય ભગવાનને જળાભિષેક કરતા હોય તેમ પૂરના પાણીમાં ડૂબી ગયેલા નજરે પડ્યા હતા. તો ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળા છલકાતા મુખ્ય માર્ગે ઉપર પાણી ફરી વળી વહેતા થયા હતા. થોડા દિવસ અગાઉ પણ માધવરાય મંદિર જળમગ્ન થયું હતું.

રેડ એલર્ટની આગાહી મુજબ વેરાવળ સોમનાથ, તાલાલા, કોડીનાર, ઉના અને ગીરગઢડા પંથકમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. આ સાથે સાથે વરસાદી ઝાપટા પણ વરસી રહ્યા છે. જેના પગલે વાતાવરણમાં પ્રસરેલી ઠંડકનો લોકો અહેસાસ કરી રહ્યા છે. આગામી કલાકોમાં વરસાદ વરસે તેવો માહોલ બંધાઈ રહ્યાનું જોવા મળી રહ્યુ છે.રેડ એલર્ટની ઇફેક્ટ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં વર્તાતી જોવા મળી છે. જેમાં સુત્રાપાડા શહેર-પંથકમાં દોઢ કલાકમાં ૪ ઈંચ જેવો ભારે વરસાદ વરસી જતા પાણી પાણી થઈ ગયુ હતુ. જ્યારે થોડા વિરામ બાદ સુત્રાપાડામાં વધુ ૧ ઈંચ અને તાલાલામાં ૧.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે પંથકના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યારે વેરાવળ- સોમનાથ સહિતના અન્ય તાલુકાઓમાં વરસાદી માહોલ વચ્ચે ઝાપટારૂપી વરસાદ વરસી રહ્યો છે.