અમેરિકાના શિકાગોમાં એક જ દિવસમાં ૧૦૦૦ પક્ષીઓના મોત થયા

શિયાળા માટે સ્થળાંતર અમેરિકા પરત ફરતી વખતે પક્ષીઓના મોત

અમેરિકાના શિકાગોમાં એક જ દિવસમાં ૧૦૦૦ પક્ષીઓના મોતની ઘટના સામે આવી છે. દક્ષિણ અમેરિકાના મેદાનોમાંથી પક્ષીઓ શિયાળા માટે સ્થળાંતર કરતા સમયે ઉત્તર અમેરિકા પરત ફરતી વખતે પક્ષીઓના મોત થયા હતા. શિકાગોના સૌથી મોટા સંમેલન કેન્દ્ર મેકકોર્મિક પ્લેસ નજીક દોઢ માઈલની ત્રિજ્યામાં પક્ષીઓના મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થાનિકો પક્ષીઓને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે હવે પક્ષીઓના મૃત્યુના કારણની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર કાચની બિલ્ડીંગ સાથે અથડાઈને નીચે પડવાના કારણે પક્ષીઓના મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. શિકાગોમાં બર્ડ કોલિઝન મોનિટર્સના ડાયરેક્ટર એનેટ્ટે પ્રિન્સે જણાવ્યુ હતુ કે બિલ્ડીંગની પાસે પક્ષીઓ મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા. જેમાં ઈજાગ્રસ્ત પક્ષીઓ સાથે મૃત પામેલા પક્ષીઓનો પણ સમાવેશ થયેલો હતો. લગભગ ૧.૫ મિલિયનથી પણ વધારે પક્ષીઓ સ્થળાંતર કરતા હોય છે. સ્થળાંતર કરતા પક્ષીઓમાં ટેનેસી વોરબ્લર્સ, સંન્યાસી થ્રશ, અમેરિકન વુડકોક્સ અને અન્ય પ્રકારના સોંગબર્ડનો પણ સમાવેશ હોય છે. મૃત પામેલા પક્ષીઓમાં આ તમામ પ્રકારના પક્ષીનો મૃતદેહ મળી આવ્યા છે.

વેસ્ટર્ન ઑન્ટેરિયો યુનિવર્સિટીમાં બારી સાથે અથડાયા બાદ મૃત પામતા પક્ષીઓ પર સંશોધન કરનાર બ્રેન્ડન સેમ્યુઅલ્સે જણાવ્યું હતું કે બારી સાથે અથડાતા દરેક પક્ષી મૃત પામે તેવુ જરૂરી નથી. સેમ્યુઅલ્સેના જણાવ્યા અનુસાર પક્ષીઓ કાચ પર અથડાયા બાદ પણ થોડા અંતર સુધી ઉડતા રહે છે. પરંતુ તે ત્યાર બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા હોવાથી નીચે પડી જાય છે.

સૂત્રો અનુસાર મોટાભાગના પક્ષીઓના મોત પાનખર અને વરસાદની ઋતુમાં થાય છે. પવન, વરસાદ અને ધુમ્મસ જેવી પ્રતિકૂળ વાતાવરણ તેનું કારણે હોઈ શકે છે. અમેરિકન બર્ડ કન્ઝર્વન્સીના બ્રાયન લેન્ઝના જણાવ્યા અનુસાર દર વર્ષે એક અબજ પક્ષીઓ કાચની બિલ્ડિંગ સાથે અથડાઈને મૃત્યુ પામે છે, કારણ કે તેઓ કાચમાં પોતાનું પ્રતિબિંબ જોઈ શકે છે.