ગુજરાતમાં ડિજીટલ નોટરાઈઝેશન સિસ્ટમ આવવાથી ખોટા કામ બંધ થઈ જશે

ગાંધીનગરઃ નોટરી કરાવવું એ મહત્વનું કામ હોય છે. દરેક સરકારી કે અન્ય કામોમાં નોટરી કરાવવું જરૂરી હોય છે. પછી એફિડેવિટ કરવાની હોય, ઘરના દસ્તાવેજ કરવાના હોય કે પછી લિગલ કામ હોય. દરેક ડોક્યુમેન્ટ્‌સમાં નોટરી કરાવવું જરૂરી છે. આવામાં આ મહત્વની કામગીરી હવે ઓનલાઈન થવા જઈ રહી છે.

દેશમાં પહેલીવાર ગુજરાત ઈ-નોટરી સિસ્ટમ લાવ્યું છે. આ ડિજીટલ નોટરાઈઝેશન સિસ્ટમ વિકસાવવા માટે ગુજરાત સરકાર અને ખાનગી કંપની વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. ઈ-નોટરી સિસ્ટમથી સરકાર ડોક્યુમેન્ટેશન કોને શું કર્યું તેની માહિતી ટ્રેસ કરી શકાશે. આ સાથે જ ડોક્યુમેન્ટ્‌સ સાથે થતા ચેડાના બનાવો પણ અટકી શકાશે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા નેપબુક્સ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૭૫ કરોડના રોકામ સાથે ડિજીટલ નોટરાઈઝેશન સિસ્ટમ વિકસાવાશે.

ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને બ્લોકચેન ટેકનોલોજીની મદદથી નોટરી સિસ્ટમ ઉભી કરવામા આવશે. આ સિસ્ટમથી જૂની તારીખના ડોક્યુમેન્ટ બનાવવા કે પછી બનેલા ડોક્યુમેન્ટ સાથે છેડછાડ જેવી ઘટનાઓ અટકી જશે. ડોક્યુમેન્ટ નોટરાઈઝેશન માટે સુરક્ષિત અને પારદર્શક પ્લેટફોર્મ મલશે. દસ્તાવેજની ચકાસણી અને પ્રમાણીકરણ માટે પણ વિશ્વસનીય પ્લેટફોર્મ મળશે. જોકે, આ સિસ્ટમથી નોટરીની આવકમાં કે કામમાં કોઈ ફેરફાર નહિ થાય.

ગુજરાત નોટરી એસોસિયેશનના પ્રમુખ ધીરેશ શાહે આ અંગે કહ્યું કે, ડિજીટલ નોટરાઈઝેશન સિસ્ટમ આવવાથી ખોટા કામ બંધ થઈ જશે. તેનાથી એડવોકેટ કે જે લોકો નોટરીનુ કામ કરે છે તેને કોઈ અસર નહિ થાય. માત્ર પ્રોસેસમાં ફરક આવશે. અત્યાર સુધી નોટરીમાં શું ડોક્યુમેન્ટ થયુ, ક્યારે થયું, કોણે કરાવ્યુ તેની માહિતી ઉપલબ્ધ રહેતી ન હતી. આ સિસ્ટમ આવશે તો બધા જ ડેટા ટ્રેક કરી શકાશે. જેથી સરકારને ખબર પડશે કે કોણે શું કર્યું અને ક્યારે કર્યું તેનો રેકોર્ડ રખાશે. ઓનલાઈન હોવાથી તેમાં કોઈ જ પ્રકારના ચેડા પણ નહિ થાય. આ પ્રોજેક્ટસથી ન માત્ર નોટરી સિસ્ટમ ઝડપી બનશે. પરંતું આગામી ૫ વર્ષમાં તેનાથી રોજગારી પણ વધશે. આ સિસ્ટમ આગામી સમયમાં સુરક્ષાના હેતુથી બહુ જ કામની બની રહેશે.