ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રની ડેરીઓને મૂડીભંડોળ આપી ફરી શરૂ કરાવી હતી

અમરેલીમાં અમર ડેરીના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સૌરાષ્ટ્રની ડેરીઓ પર મોટું ખંભાતી તાળું મારીને જતા રહ્યા હતા. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ ડેરીઓને મૂડીભંડોળ આપી ફરી ચાલુ કરાવી હતી.

સૌરાષ્ટ્રના જૂના જિલ્લાઓમાં બધી ડેરી ધમધોકાર ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે અમરેલીની અમર ડેરીના પટાંગણમાં યોજાયેલી વિવિધ ક્ષેત્રોની સાત સહકારી મંડળીઓની સંયુ્‌કત વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. શાહે કહ્યું હતું કે ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સૌરાષ્ટ્રની ડેરીઓ પર ખંભાતી તાળું મારીને જતા રહ્યા હતા. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ડેરીઓને મૂડીભંડોળ આપી ફરી શરૂ કરાવી હતી.

ગૃહ-સહકારમંત્રી શાહે સહકારી મંડળીઓના પ્રોત્સાહન અંગે સરકારની નીતિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આવનારાં પાંચ વર્ષમાં ૩ લાખ મંડળીઓને બેંક સાથે જોડી એમને બહુહેતુક બનાવવાની સરકારની નેમ છે. આ માટે દરેક પંચાયતમાં સહકારી મંડળીની સ્થાપના માટે રુ.૧૫૦૦ કરોડ અને તેના કોમ્પ્યુટરાઇઝેશન માટે રુ.૧૦૦૦ કરોડ સહિત કુલ રુ.૨,૫૦૦ કરોડ સરકારે ફાળવ્યા છે. તથા સહકાર યુનિવર્સિટીનું નિર્માણ કરી સહકારી ક્ષેત્રની તાલીમ આપવામાં આવશે. એનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે, જેનાથી મંડળીની પ્રગતિ ઓનલાઈન જાણી શકાશે અને એના વિકાસ માટે કામગીરી થઈ શકશે. ગોબર ગેસ, ગોડાઉન વીજ કલેક્શન માર્કેટિંગ, ગેસ વિતરણ એજન્સી જલ સે નલ વગેરે ક્ષેત્રનો સહકારી ક્ષેત્રમાં સામેલ કરવામાં આવશે, જેનાથી સહકારી ક્ષેત્રનો વ્યાપ વધશે અને તેની પ્રગતિ વધુ સઘનપણે થઈ શકશે. આ સંમેલનમાં કેન્દ્રીય પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને ડેરીમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે જિલ્લાનું ગૌરવ કહી શકાય એવી ગીર ગાય અને જાફરાબાદી ભેંસની ઓલાદના સંવર્ધન, તેના જતન અને તેની સશક્ત ઓલાદો જન્મે તેવા સંયુકત હેતુઓને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી અમરેલી જિલ્લામાં એક સંવર્ધનકેન્દ્ર શરુ થવાનું છે, જેના કારણે જિલ્લાના પશુપાલકોને ખૂબ ફાયદો થશે.

તેમણે વધુમાં મંત્રીએ કહ્યું હતું કે દેશમાં સહકારથી સમૃદ્ધિનું સૌથી મોટું ઉદાહરણ અમૂલ છે. પ્રતિદિન ૧૫૦ કરોડ રૂપિયાનું વેચાણ અમૂલના માધ્યમથી થાય છે, જેનો સીધો લાભ ઉપભોક્તાઓને થાય છે. ભારત સરકાર દ્વારા જેવી રીતે ખેડૂતોને કેસીસી આપવામાં આવી રહી છે એવી જ રીતે હવે પશુપાલકો અને માછીમારોને પણ આપવામાં આવે છે, આ ડબલ એન્જિનની સરકારમાં સહકાર અને સરકારથી સૌની સમૃદ્ધિ થઈ રહી છે.