કલોલના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગની સ્થાનિકો પરેશાન

કલોલના રેલ્વે પૂર્વ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણીજન્ય રોગચાળો વકર્યો હોવા છતાં તંત્ર દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે. દિવસેને દિવસે ઝાડા ઉલ્ટીના નોંધપાત્ર કેસો મળી આવતાં નગરપાલિકા તંત્રને ટોલ ફ્રી નંબર જાહેર કરવો પડ્યો છે. નોંધનીય છે કે પણ ૯૦ ઝાડા-ઉલ્ટીના દર્દીઓ મળી આવ્યા હતા. બીજી તરફ જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આર્યની ઓચિંતી મુલાકાતથી સ્થાનિક તંત્ર પણ હવે દોડતું થઇ ગયું છે.

પ્રારંભિક તબક્કે રોગચાળો વકર્યો ત્યારે નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી જતાં કલેક્ટર સુધી વાત પહોંચી હતી. જેનાં પગલે કલેક્ટર કલોલની મુલાકાતે પહોંચી જતા અઢળક ત્રુટિઓ તેમજ ફરિયાદ તંત્ર સામે મળી હતી. તેમ છતાં કલોલમાં પાણીજન્ય રોગચાળા પર કાબુ મેળવવા તંત્ર વામણું પુરવાર થયું છે. ૯૦ ઝાડા ઉલ્ટીના કેસ મળી આવ્યા હતા. જ્યારે ૧૭ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી છે. અત્યાર સુધીમાં ૪૩૦૨ પેકેટ ઓઆરએસ, ૨૬૪૦ ક્લોરિન ગોળીઓનું વિતરણ કરી અસરગ્રસ્ત વિસ્તારમાં ટેન્કર મારફતે શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેનાં પરથી લાગી રહ્યું છે કે હજી પણ દૂષિત પાણીની સમસ્યા યથાવત છે. નવ મહિના પહેલા પણ આ જ રીતે રોગચાળો ફાટી નિકળ્યો હતો. હવે ફરીવાર ઝાડા ઉલ્ટીના કેસો વધવા લાગ્યા છે.

વોર્ડ નંબર ચારના વસાહતીઓ દ્વારા વારંવાર દૂષિત પાણીની ફરિયાદો નગરપાલિકાને કરવામાં આવી હતી. તેમ છતાં સત્તાધીશોએ કોઈ કાર્યવાહી નહીં કરતાં નાગરિકોને રોગચાળાનો ભોગ બનવું પડી રહ્યું છે.

ખાનગી કંપનીને ખોદકામની પરવાનગી આપવામાં આવતી હોય તો તંત્રના જવાબદાર અધિકારી-કર્મચારીએ ખોદકામ સમયે ગટર-પાણીની પાઈપલાઈનના લે આઉટ લઈને સ્થળ પર ઊભા રહેવું જાેઇતું હતું. પરંતુ તંત્રને ખુદને ખબર નથી કે અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન ક્યાંથી ક્યાં પસાર થાય છે. નગરપાલિકાએ અત્યાર સુધીમાં લાખો કરોડો રૂપિયા ગટર-પાણીની પાઈપ લાઈનોનાં સમારકામ પાછળ ખર્ચી નાખ્યા છે. તેની જગ્યાએ એટલામાં જે-તે વખતે નવી પાઈપ લાઈનો નાખી દીધી હોત તો આજે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની સ્થિતિ ઉભી ના થાત અને નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું રહેતું.ગાંધીનગરના કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણીજન્ય રોગચાળાએ માઝા મૂકી દેતા માત્ર ચાર જ દિવસમાં ૪૦૦થી વધુ ઝાડા-ઉલ્ટીના દર્દીઓ મળી આવ્યા છે. ત્યારે કલોલ શહેર કોંગ્રેસ દ્વારા આના પાછળ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે નાગરિકો રોગનો ભોગ બની રહ્યા હોવાના આક્ષેપો કરાયા છે.