રાજકોટમાં ૯ ઈંચ વરસાદ પડતાં રસ્તાઓમાં પાણી જ પાણી

રાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે તેમજ કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હોવાથી વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા છે અને ફરજિયાત વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે. રાતથી જ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, આથી રસ્તાઓ પર પાણી વહ્યા હતા. ધોધમાર વરસાદે રાજકોટમાં પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. વરસાદ વરસતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. પ્રી-મોન્સૂનની કામગીરી કાગળ પર રહી ગઇ હોય એવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોર્પોરેશને દાવો કર્યો હતો કે આ વર્ષે રસ્તાઓ પર પાણી ભરાશે નહીં, પરંતુ ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું હતું, આથી વાહનચાલકોમાં મુશ્કેલી જોવા મળી હતી. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ અવિરતપણે મેઘાનાં મંડાણ થઈ રહ્યાં છે, જ્યાં ૭ કલાકમાં ૯ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા પોપટપરામાં ઘરમાં પાણી ઘૂસ્યાં હતાં અને લોકો પહેલા માળે જતા રહ્યા હતા. આ ઉપરાંત લલુડી વોકળીમાં રસ્તા નદી બન્યા હતા, જેને પગલે વાહનો ડૂબ્યાં હતાં અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટમાં ઉપરવાસમાં વરસાદના પગલે આજી નદી બે કાંઠે વહેવા લાગી છે. આ વર્ષે પ્રથમ વખત આજીએ રામનાથ મહાદેવને જલાઅભિષેક કર્યા હતા. રાજકોટ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે તો આજી નદીના પાણી રામનાથ પરા વિસ્તારમાં ફરી વળ્યા છે. તો બીજી તરફ આજી નદીમાં પાણીની આવક વધતા નદી કાંઠે ન જવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે.

ફાયર વિભાગની ટીમ આજી નદી, ભગવતીપરા, રામનાથ પરા, થોરાળા વિસ્તારમાં જઇ સતત બચાવની કામગીરી કરી રહી છે.જેથી મેયરે આજી નદીની સ્થળ મુલાકાત કરી હતી હાલ ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનારી આજની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ અંગે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ સત્તાવાર યાદી જાહેર કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના આચાર્ય તથા અનુસ્નાત ભવનનાં અધ્યક્ષને જાણ કરી હતી. જયારે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ સ્કૂલમાં પણ રજા જાહેર કરી છે. આ અંગે આરએમસીના વોટર વર્ક્‌સ શાખાના એડિશનલ સિટી એન્જિનિયર રાજકોટ મનપા વિસ્તારમાં આવેલા ૪ અન્ડરબ્રિજ પૈકી ૧ એવો રેલનગરનો અન્ડરબ્રિજ બંધ કરેલો છે. રેલનગર અન્ડરબ્રિજમાં ૩થી ૪ ફૂટ પાણી ભરાતાં હાલ તેને બંધ કરવામાં આવ્યો છે. મહત્તમ કેપેસિટીથી પમ્પિંગ કરી પાણી ઉલેચવાની કામગીરી તમામ બ્રિજ પર કરવામાં આવી રહી છે અને હજુ પણ ૬થી ૭ કલાક સુધી રેલનગર અન્ડરબ્રિજ પરથી વાહનોની અવરજવર નહિ થઈ શકે.