જખૌ બંદર પર કામદારોના ઘરમાં પાણી ઘૂસ્યા

કચ્છમાં ધીરે ધીરે વાવાઝોડાની અસર વધી રહી છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે જખૌનો પોર્ટ બંધ કરાયો છે. જખૌ મરીન પોલીસ દ્વારા જખૌ પોર્ટ બંધ કરાવી દેવાયો છે. પીઆઈ ડી.એસ.ઇશરાની દ્વારા જખૌ પોર્ટ પર જવાનો રસ્તો બંધ કરાયો છે. લોકો તેમજ મીડિયા કર્મચારીઓની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. તો સાથે જ જખૌ બંદર પર સમુદ્રની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. જખૌ બંદર પરના કામદારોના ઘરમાં પાણી ઘૂસ્યા છે.બિપોરજોય વાવાઝોડાની મોટી ખબર સામે આવી છે, બિપોરજોય વાવાઝોડુ રાત્રે ૯થી ૧૦ કલાકની વચ્ચે જખૌમાં ટકરાઇ શકે છે.

વાવાઝોડાની અસર કચ્છમાં દેખાવાની શરુ થઇ ગઇ છે, કચ્છમાં જુદા જુદા વિસ્તારોમાં તેજ ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે.સંભવિત વાવાઝોડાની અસરને પગલે કચ્છમાં સજ્જતા જોવા મળી રહી છે. SDRF, NDRF સાથે કચ્છમાં ૪ ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે. અમદાવાદ ફાયરની ૪ ટીમ સાધનો સાથે કચ્છ પહોંચી છે. વાવાઝોડા બાદ રાહત-બચાવ માટે ટીમ સક્ષમ છે. નલિયા,નારાયણસરોવર, માંડવી અને ભુજમાં આ ટીમ તહેનાત રહેશે. મેટલ કટર,વુડ કટર સહિતના સાધનોથી ટીમ ખડેપગે રહેશે.