કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ભાડજ સર્કલ ઓવરબ્રિજનું કર્યું લોકાર્પણ

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં અનેક વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ થઈ રહ્યાં છે. બીજી તરફ રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે ફરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે.આ અંતર્ગત અમિત શાહે ભાડજ સર્કલ પર બનાવવામાં આવેલા ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું છે. સિક્સ લેનનો આ બ્રિજ ૨૭ મીટર પહોળો છે અને ૭૩.૩૩ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ભાડજ સર્કલ અત્યાર સુધી એસપી રિંગ રોડ પર સૌથી વધુ ટ્રાફિક ધરાવતું સર્કલ હતું.

બ્રિજ બન્યા પછી રોજના ૨૧ હજાર ભારે વાહન સીધા જ ફ્લાયઓવર પરથી નીકળી જશે. ભાડજ ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યા બાદ અમિત શાહ વિરોચનનગર જવા રવાના થયા હતા. વિરોચનનગર ખાતે બનાવવામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમની સાથે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.