ગ્રીન ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સાયકલ લઈને ઉત્તર પ્રદેશના ઇટાવાથી નીકળેલો ખેડૂત યુવાન લુણાવાડા પહોચ્યો

મહીસાગરઃ ઉત્તર પ્રદેશના ઇટાવાથી યુવાન ખેડૂત પર્યાવરણ રક્ષાના સંદેશ સાથે ગ્રીન ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સાયકલ લઈને નીકળ્યો છે. જે મહીસાગર જિલ્લા મથક લુણાવાડા ખાતે આવી પહોચ્યો હતો. તેમનું જિલ્લા ભાજપ મહામંત્રી, શહેર ભાજપ પ્રમુખ સહિત પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના ઉમદા ઉદ્દેશની સરાહના કરી સુખદ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ યુવાનના વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ તે મહીસાગર જિલ્લામાંથી પંચમહાલ જિલ્લાના ગોધરા તરફ જવા રવાના થયો હતો. પર્યાવરણીય સંરક્ષણ જાગૃતિ અભિયાન માટે સાયકલ લઈને નીકળેલ રોબીનસિંહે જણાવ્યું હતું કે તે તમિલનાડુના કન્યાકુમારીથી સાયકલ લઈને ૬ ઓક્ટોબર વર્ષ ૨૦૨૨એ નીકળ્યો હતો. ૪૦૦ જિલ્લાઓના મુખ્ય મથકે જઈ આજે ૪૧૫ દિવસ થયા છે. ગુજરાતના મહીસાગર જીલ્લાના લુણાવાડામાં આવતા અંદાજીત ૨૪ હજાર કિ.મીથી વધુની યાત્રા પૂર્ણ થઇ છે.

વધુમાં તેણે ગ્રીન ઇન્ડિયા મૂવમેન્ટ અંગે જણાવ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવો જરૂરી છે તેનું પ્રદૂષણ પર્યાવરણ માટે ખૂબ જ નુકશાનકારક છે. આ પ્લાસ્ટિક પશુઓ ખાય છે. જમીનમાં પાણીનું ઉતરતું રોકે છે. નદીઓ અને નાળાનું પાણી પણ પ્રદૂષિત કરે છે. અંદાજીત દોઢ વર્ષથી વધુ સમયમાં તેની આ સાયકલ યાત્રા મધ્યપ્રદેશના ભોપાલ સમાપન થશે.