સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર કોવિડ ટાસ્ક ફોર્સની ચેતવણી

કોવિડની પહેલી અને બીજી લહેરમાં સૌથી વધારે કહેરનો સામનો કરનારા મહારાષ્ટ્રમાં સ્થિતિ ફરી એક વાર વણસી રહી છે. કેરળની સાથે મહારાષ્ટ્રમાં પણ કેસ વધી રહ્યા છે. સક્રિય કેસોની દ્રષ્ટિએ તે દેશમાં બીજા ક્રમે છે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી કોવિડ ટાસ્ક ફોર્સે પણ રાજ્યમાં ટૂંક સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની ચેતવણી આપી છે. કોવિડ ટાસ્ક ફોર્સે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ ટાસ્ક ફોર્સની રચના કોરોનાની સ્થિતિ પર નજર રાખવા અને આ રોગચાળાને પહોંચી વળવા સલાહ આપવા માટે કરવામાં આવી છે.

તાજેતરમાં, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોવિડ ટાસ્ક ફોર્સ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. જેમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા, આરોગ્ય સુવિધાઓ, ઓક્સિજનની વ્યવસ્થા અને રોગચાળાને અટકાવવા સહિતની ચર્ચા કરવામાં આવી હતી. બીજી લ્હેરમાં ઓક્સિજનની અછતને કારણે સ્થિતિ વધુ વણસી અને તેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા. દેશમાં સૌથી વધુ કોવિડ કેસ અને મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં કોરોનાવાયરસના ૬૩ લાખથી વધુ કેસ નોંધાયા છે અને ૧.૩૪ લાખથી વધુ મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૧ લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે. મંગળવારે જ રાજ્યમાં ૧૩૭ મૃત્યુ અને ૫,૬૦૯ કેસ નોંધાયા છે. તેમજ આ ૨૪ કલાકમાં ૭,૭૨૦ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ મુંબઈ, થાણે, પાલઘરમાં સામે આવી રહ્યા છે.