ગાંધીનગર પાટનગર યોજના વિભાગને સે.૨ની ઉભરાતી ગટરનું મૂળ મળતું નથી

ગાંધીનગરમાં પાટનગર યોજના વિભાગ પાણી વિતરણ અને ગટર લાઈનનું વ્યવસ્થાપન કરી રહ્યું છે. જોકે, મોટાભાગના કામો કોન્ટ્રાક્ટ હસ્તક કરવામાં આવી રહ્યા હોવાથી વસાહતીઓની સમસ્યાનું સમયસર નિરાકરણ કે સંભાળવામાં આવતું નથી. સેકટર – ૨માં રહેતાં વસાહતી ગટરની સમસ્યાથી એટલી હદે કંટાળી ગયા છે કે હવે પરિવાર સાથે પાટનગર યોજના વિભાગ સામે મોરચો માંડવા પણ તૈયાર છે. સેકટર – ૨/સી પ્લોટ નંબર ૮૯૪ માં રહેતા પ્રવિણસિંહ વાઘેલાનાં ઘરનાં પ્રવેશ દ્વાર સામે વર્ષો જુની ગટરની મુખ્ય ચેમ્બર આવેલી છે. જેમાં આસપાસના નવ ઘરનું દૂષિત પાણી એકઠું થતું રહે છે.

દોઢ મહિના અગાઉ કોઈ કારણસર ગટરની પાસે ગાબડું પડયું હતું. ત્યારે જઈને ખ્યાલ આવ્યો કે દૂષિત પાણી ગટરમાં નહીં પણ જમીનમાં ઉતરી રહ્યું છે. જે અંગે તેમણે પાટનગર યોજના વિભાગ ફરિયાદ કરી હતી. અનેક વાર ફોન કર્યા પછી માંડ માંડ પાટનગર યોજનાના માણસો આવ્યા હતા અને ગટર રીપેર કરીને રવાના થઈ ગયા હતા.ગાંધીનગરમાં પાટનગર યોજના વિભાગની અણઆવડતનાં કારણે સેકટર – ૨ માં દોઢ મહિનાથી ઉભરાતી દૂષિત ગટરનું મૂળ કારણ આજદિન સુધી શોધી શકાયું નથી.

નવાઈની વાત તો એ છે કે, વિભાગના મુખ્ય ઈજનેર પણ સ્થળ મુલાકાત લઈ ગયા, એકવાર રીપેર કરી અને બે વાર નવી બનાવી તેમ છતાં નવ ઘરનું દૂષિત પાણી એક ઘરની બહારની મુખ્ય ચેમ્બરમાં સતત ઊભરાતાં પરિવાર ત્રાહિમામ પોકારી ઉઠયો છે. પરંતુ થોડા દિવસ પછી ફરીવાર એજ સમસ્યાનું નિર્માણ થયું હતું. એટલે પ્રવીણસિંહે ફરીવાર વિભાગમાં ફરિયાદ કરી હતી. એટલે પાછા વિભાગના કર્મચારીઓ આવીને નવી ગટર બનાવીને રવાના થઈ ગયા હતા. એક સમયે પરિવારને એવું લાગ્યું કે ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ આવી ગયું છે. પણ આ વખતે પણ થોડા વખતમાં જ ફરીવાર ગટરના દૂષિત પાણી ઉભરાવા લાગ્યા હતા. સ્થિતિ એટલે સુધી વણસી કે પાટનગર યોજના વિભાગના ઈજનેરને પણ વિઝિટ કરવાની ફરજ પડી હતી. જેમની સૂચનાથી વધુ એક વાર નવી ચેમ્બર સાથેની ગટર બનાવી દેવાઈ પણ આજદિન સુધી પ્રવીણસિંહ સહિતના આસપાસના વસાહતીઓને ગટરની સમસ્યાથી છુટકારો મળ્યો નથી. એમાંય સૌથી વધુ મુશ્કેલી વાઘેલા પરિવાર દોઢ મહિનાથી વેઠી રહ્યો છે. કેમ કે ગટરની મુખ્ય ચેમ્બર તેમના ઘરની બિલકુલ સામે જ છે. હવે તો તેમના મકાનના ભોંયરાની દિવાલને અડીને આવેલી ગટરની પાઈપ લાઈનના કારણે ઘરની મજબૂતાઈ પર પણ જોખમ વર્તાઈ રહ્યું છે.