ગણદેવીના ધમડાછા ગામે ડાયવર્ઝનના નામે ખરાબ રસ્તાથી ગ્રામજનોમાં રોષ

ગણદેવી તાલુકાના અમલસાડ સહિતના કાંઠા વિસ્તારનાં ૨૫થી વધુ ગામોને જોડતો ગણદેવી-અમલસાડ સ્ટેટ હાઈવે પર ધમડાછા-હાથીયાવાડી ગામને જોડતો અંબિકા નદી ઉપર નવા બ્રિજનું કાર્ય ચાલી રહ્યું છે. જેને લઈ એન્જિનિયરો દ્વારા ધમડાછા ગામ છેડે નવું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જે ડાયવર્ઝન ફક્ત માટી નાંખીને તેમજ ઉબડખાબડ ખાડાટેકરાવાળુ અસમતોલ હોય કામમાં વેઠ ઉતારવામાં આવી હતી.

જેને પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો તેમજ અકસ્માતનો ભય સેવાઈ રહ્યો હતો. જેને લઈ તાત્કાલિક અસરથી ફરજ પરનાં ઈજનેરને ડાયવર્ઝન સરખું પાકુ કરવા માટે ધમડાછા ગામનાં સામાજીક અગ્રણી હિમાંશુ વશી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે અસમતોલ કાચા ડાયવર્ઝન ઉપર પાકુ મટિરિયલ નાંખી રોડ રોલર દ્વારા સમતલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેને પગલે વાહનચાલકો અને રાહદારીઓ રાહત અનુભવી રહ્યાં છે.

આ ડાયવર્ઝન થકી ધમડાછા ગામનાં વરસાદી પાણી નિકાલનો મુખ્ય કાંસ પણ પુરાઈ ગયો હોય જેથી ચોમાસા દરમિયાન ધમડાછા ગામનું પાણી નિકાલની સમસ્યા ઉદભવાની શક્યતા જોતા બે મહિના અગાઉ અગ્રણી હિમાંશુ વશી, આનંદ દેસાઈ દ્વારા પુરાઈ ગયેલો કાંસને ખુલ્લો કરી ચોમાસા પાણી નિકાલની વ્યવસ્થા કરવા બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

ડાયવર્ઝન થતા કુદરતી કાંસ પુરાઈ જવાની સમસ્યા પણ ઈજનેરને મળીને રજૂઆત કરી હતી. આ સમસ્યાને હલ કરવા માટે વરસાદી કાંસને ખુલ્લી કરવા માટે ફરજ પરના ઈજનેર દ્વારા ખાતરી આપવામાં આવી છે.