ગુજરાતના ૨૦૭ જળાશયમાં માત્ર ૪૨.૯૫ ટકા પાણી બચ્યું

રાજ્યમાં આજે અને આવતી કાલે કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. મોટાભાગનાં શહેરોમાં સરેરાશ એકથી બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે. પણ હાલ ટેન્શન ગરમીનું નહિ, પાણીનું લેવા જેવું છે. કારણ કે, હાલ ગુજરાતના જળાશયોમાં પાણીની જે સ્થિતિ છે તે જોતા તમને આવતીકાલે પાણીનો એક ગ્લાસ મળવો પણ મુશ્કેલ બની જશે. કાળઝાળ ગરમી વચ્ચે જળાશયોનું ઘટતુ જતુ જળસ્તર ચિંતાજનક છે. ગુજરાતના ડેમોની આ તળિયાઝાટક સ્થિતિથી મોટા જળ સંકટના ભણકારા વાગે છે. ગુજરાતના ૨૦૭ જળાશયમાં માત્ર ૪૨.૯૫ ટકા પાણી બચ્યું છે.

લેટેસ્ટ અપડેટ અનુસાર, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયમાં માત્ર ૩૫.૮૭ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તો મધ્ય ગુજરાતના ૧૭ જળાશયમાં માત્ર ૩૫.૯૯ ટકા અને દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયમાં ૪૭.૪૬ ટકા પાણી ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયમાં માત્ર ૨૩.૪૩ ટકા પાણી બચ્યું છે. તો ગુજરાતની જીવાદોર સમા સરદાર સરોવરમાં ૪૭.૭૪ ટકા પાણીનો જથ્થો છે. કચ્છની સ્થિતિ કાબૂ બહાર છે. કચ્છના ૨૦ જળાશયમાં ૩૧.૭૭ ટકા પાણીનો જથ્થો બચ્યો છે. દેવભૂમિ દ્વારકાના જળાશયોમાં માત્ર ૪.૦૩ ટકા પાણી ઉપલબ્ધ છે. આટલા ઓછા પાણીમાં કેવી રીતે ઉનાળો નીકળશે. ઉનાળો હજી બાકી છે, અને ચોમાસું આવવાને રાહ છે આવામાં દિવસો પાણી વગર કેવી રીતે પસાર થશે.

કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યના લોકો માટે સંકટના સમાચાર હાલ એ છે કે ગુજરાતના ૨૦૭ જળાશયમાં માત્ર ૪૨.૯૫ ટકા પાણી બચ્યું છે. ઝોન પ્રમાણે પાણીની વાત કરીએ તો

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયમાં માત્ર ૩૫.૮૭ ટકા પાણીનો જથ્થો

મધ્ય ગુજરાતના ૧૭ જળાશયમાં માત્ર ૩૫.૯૯ ટકા પાણી

દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયમાં ૪૭.૪૬ ટકા પાણી

કચ્છના ૨૦ જળાશયમાં ૩૧.૭૭ ટકા પાણીનો જથ્થો

સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયમાં માત્ર ૨૩.૪૩ ટકા પાણી બચ્યું

તો ગુજરાતના મહત્વના ડેમોની સ્થિતિ પણ તળિયાઝાટક છે. રાજ્યના ૩ ડેમમાં ૯૦ ટકાથી વધારે પાણી છે. તો અન્ય ૧ ડેમમાં ૮૦થી ૯૦ ટકા પાણીનો જથ્થો છે. બાકીના ૨ ડેમમાં ૭૦થી ૮૦ ટકા પાણીનો જથ્થો બચ્યો છે. પરંતુ તે સિવાયના ડેમોની વાત કરીએ તો સ્થિતિ ચિંતાજનક છે. ગુજરાતના ૨૦૦ ડેમમાં ૭૦ ટકાથી ઓછું પાણી છે.

સરદાર સરોવરમાં ૪૭.૭૪ ટકા પાણીનો જથ્થો

દેવભૂમિ દ્વારકાના જળાશયોમાં માત્ર ૪.૦૩ ટકા પાણી

નવસારીના જળાશયોમાં માત્ર ૧૫.૨૭ ટકા પાણી

જામનગરના જળાશયોમાં માત્ર ૧૫.૫૪ ટકા પાણી

સુરતના જળાશયોમાં માત્ર ૧૧.૭૪ ટકા પાણી બચ્યું

બોટાદના જળાશયોમાં માત્ર ૧૬ ટકા પાણીનો જથ્થો

બનાસકાંઠાના જળાશયોમાં માત્ર ૧૭.૭૮ ટકા પાણીનો જથ્થો

ખેડાના જળાશયોમાં માત્ર ૧૬.૩૧ ટકા પાણી

અમરેલીના જળાશયોમાં ૧૮.૪૮ ટકા પાણી

છોટાઉદેપુરના જળાશયોમાં માત્ર ૨૧.૩૩ ટકા પાણી

ભાવનગરના જળાશયોમાં ૨૧.૧૯ ટકા પાણી

દાહોદના જળાશયોમાં માત્ર ૨૨.૦૯ ટકા પાણી

બોટાદ જિલ્લાની વાત કરીએ તો અહીં ગઢડા તાલુકામા લીંબાળી, માલપરા, ગઢાળી ડેમ આવેલા છે. આ ડેમોથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને ખેતી માટે અને પીવાના પાણી માટે સીધો ફાયદાઓ થતા ડેમ છે. પરંતુ હાલ ડેમમાં પાણી નહિવત છે. લીંબાળી ડેમમા લાઈવ સ્ટોરેજ ૨૪૫ એેમસીએફટી પાણીની ક્ષમતા ધરાવે છે, પરંતુ હાલ ૫૫. ૯૬ એમસીએફટી એટલે કે ૩૨ ટકા પાણી છે. જ્યારે માલપરા ડેમની લાઈવ સ્ટોરેજ ૨૨૫ એમસીએફટીની ક્ષમતા છે, પરંતુ હાલ ૧૧.૧૮ એમસીએફટી એટલે કે ૫ ટકા પાણી છે. હાલ આ ડેમોમાં સરકારની પાણી આપવાની કોઈ યોજના શરૂ નથી. પરંતુ લીંબાળી ડેમ મા ૩૩ ટકા પાણી છે જો ખેડુતો પાણીની માંગણી કરે તો પાણી આપવાની વિચારણા કરાશે તેમ નાયબ કાર્યપાલકે જણાવ્યુ હતું.

મહીસાગરના ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમ પણ ખાલીખમ થઈ ગયો છે. ભર ઉનાળે ભાદર ડેમના જળ સ્તરમાં ઘટાડો થયો છે. ભાદર ડેમના જળ સ્તરમાં ઘટાડો થતા પાણી છોડવાના ગેટથી પણ પાણીનું સ્તર નીચે ગયું છે. ગરમીના પ્રકોપથી ડેમનું પાણી સૂકાઈ ગયું છે. ભાદર ડેમમાં હાલ માત્ર ૮.૨૩% પાણી બચ્યું છે. ભાદર ડેમ ખાલી થતા ભાદર કેનાલ પણ બંધ કરવામાં આવી છે. ભાદર ડેમ મારફતે મહીસાગર જિલ્લાના ૩ તાલુકાના ખેડૂતોને પિયત માટે પાણી મળતું હતું. ભાદર ડેમ ખાલી થતા હવે ૩ તાલુકાના ૨૪૦૦ હેકટર જમીનમાં હવે પિયત માટે ખેડૂતોને કેનાલ મારફતે પાણી નહિ મળે.