બાબરકોટમાં નર્મદા સીમેન્ટ કંપનીમાં ક્લિન્કર પ્રોસેસિંગ ઘટના દરમિયાન એક નું મોત : ૨ ઈજાગ્રસ્ત

જાફરાબાદઃ જાફરાબાદ તાલુકાના બાબરકોટ માં આવેલી નર્મદા સીમેન્ટ કંપનીમાં ક્લિન્કર પ્રોસેસિંગ દરમિયાન દુર્ધટના ઘટી હતી. આ દુર્ઘટનામાં ૧ વ્યક્તિનું મોત થયું હતું અને ૨ લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. આ બંને ઇજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કંપનીમાં રાખવામાં આવેલા રો મટીરયલના ક્લિન્કર લીક થતા આ દુર્ઘટના બની હતી. કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ધટના થતા ૩ લોકો તેની ઝપટમાં આવી ગયાં હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીમાં રીપેરીંગ કામ હોવાથી છેલ્લા 2-૩ દિવસથી શટડાઉન ચાલી રહ્યું હતું, તેમ છતાં અહીં દુર્ઘટના સર્જાઇ હતી.

ગરમ ક્લિન્કરથી દાઝેલા એક કામદારે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે અન્ય બે કામદારોને તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે મૃતકનું રાજુલાની હોસ્પિટલમાં પી.એમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.