નવા ઔદ્યોગિક એકમ સ્થાપવા કે એકમના વિસ્તરણ માટે લાગુ થયા નવા સાઈટીંગ ક્રાઈટેરીયા
- ખોટી અથવા ક્ષતિ પુર્ણ મહિતી આપનાર ઔદ્યોગિક એકમને આપેલ પરવાનગી રદ્દ થવા પાત્ર રહેશે
- પર્યાવરણીય મંજુરી મેળવેલ ન હોય તેવા ખાનગી એસ્ટેટમાં આવતાં તમામ ઔદ્યોગિક એકમોને સાઈટીંગ ક્રાઈટેરીયા લાગુ પડશે
- રહેણાંક વિસ્તાર / સ્કુલ / કોલેજ માટે સીપીસીબીની ઔદ્યોગિક એકમની રેડ, ઓરંજ અને ગ્રીન કેટેગરી મુજબ અનુક્રમે 500 મીટર, 200 મીટર અને 100 મીટરનું અંતર છોડવાનું રહેશે
- તાજેતરમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પાણી પ્રદૂષણ માર્ગદર્શિકા, 2025 અને હવા પ્રદૂષણ નિયંત્રણ માર્ગદર્શિકા, 2025 કરાઇ છે પ્રકાશિત
નવા ઔદ્યોગિક એકમ સ્થાપવા / એકમના વિસ્તરણના કિસ્સામાં વંચાણે લીધેલ સાઈટીંગ ક્રાઈટેરીયા લાગુ પાડવામાં આવેલ છે. તાજેતરમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પાણી પ્રદૂષણ નિયંત્રણ (મંજૂરી, ઇનકાર અથવા સંમતિ રદ કરવા) માર્ગદર્શિકા, 2025 અને હવા પ્રદૂષણ નિયંત્રણ (મંજૂરી, ઇનકાર અથવા સંમતિ રદ કરવા) માર્ગદર્શિકા, 2025 પ્રકાશિત કરવામાં આવેલ છે.
ઉક્ત માર્ગદર્શિકામાં ધ્યાને લેતા સામે આવતી બાબતો અંગે પુખ્ત વિચારણાને અંતે ઉક્ત પરિપત્રમાં નીચે મુજબ ફેરબદલાવ કરવામાં આવે છે.
હવે પછીથી નવા ઔદ્યોગિક એકમ સ્થાપવા કે એકમના વિસ્તરણના કિસ્સામાં નીચે મુજબના સાઈટીંગ ક્રાઈટેરીયા લાગુ પડશે
રહેણાંક વિસ્તાર / સ્કુલ / કોલેજ માટે સીપીસીબીની ઔદ્યોગિક એકમની રેડ, ઓરંજ અને ગ્રીન કેટેગરી મુજબ અનુક્રમે 500 મીટર, 200 મીટર અને 100 મીટરનું અંતર છોડવાનું રહેશે.
નદી / તળાવ / સરોવર (સરકારી રેકોર્ડ મુજબ) ઔદ્યોગિક એકમની રેડ કેટેગરીમાં 500 મીટર, ઓરંજમાં જ્યાં ઔદ્યોગિક ગંદુ પાણી ઉત્પન્ન થતું હોય તેવા એકમો માટે 75 મીટર જ્યારે ઔદ્યોગિક ગંદુ પાણી ઉત્પન્ન ન થતું હોય તેવા એકમો માટે 30 મીટરનું અંતર અને ગ્રીન કેટેગરીમાં 30 મીટરનું અંતર છોડવાનું રહેશે.
ઔદ્યોગિક એકમની બહારથી પસાર થતા કુદરતી નાળાના કિસ્સામાં કુદરતી નાળાથી 12 મીટર કે કુદરતી નાળાની પહોળાઇ બન્નેમાંથી જે વધારે હોય તેટલુ અંતર છોડવાનું રહેશે તેમજ કુદરતી નાળાની મૂળ સ્થિતિ જાળવવાની રહેશે. જ્યારે ઔદ્યોગિક એકમમાંથી પસાર થતા કુદરતી નાળાના કિસ્સામાં કુદરતી નાળાની બન્ને બાજુ 12 મીટર કે કુદરતી નાળાની પહોળાઇ બન્નેમાંથી જે વધારે હોય તેટલુ અંતર છોડવાનું રહેશે. તેમજ કુદરતી નાળાની મૂળ સ્થિતિ જાળવવાની રહેશે.
રોડ / રેલ્વે / નહેર (કેનાલ) / પુરાતત્વિય સ્મારકો / ઐતિહાસિક ઈમારતો / દેવસ્થાનોથી ઔદ્યોગિક એકમના અંતર બાબતે સરકારનાં સંલગ્ન વિભાગ જેવા કે, માર્ગ અને મકાન / પંચાયત / નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એન.એચ.એ.આઇ.) / રેલ્વે / ઈરીગેશન / પુરાતત્વ વિભાગ / સંલગ્ન સરકારી વિભાગ દ્વારા નિર્ધારિત નિયંત્રણ રેખા અનુસાર ઓછામાં ઓછુ અંતર રાખવાનું રહેશે.
વન વિસ્તાર કે દરીયા કિનારાથી ઔદ્યોગિક એકમના અંતર બાબતે સંલગ્ન વિસ્તારની કેટેગરી (જેવી કે, રાષ્ટ્રીય ઉદ્યાન, આરક્ષિત વન, ઈકો સેન્સિટિવ ઝોન, અભ્યારણ્ય, સી.આર.ઝેડ. વિગેરે) પ્રમાણે સરકારશ્રી દ્વારા વખતો-વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાં અનુસાર ઓછામાં ઓછુ અંતર રાખવાનું રહેશે.
સાઈટીંગ ક્રાઈટેરીયા લાગુ પાડતી વખતે નીચે મુજબની વિગતો ધ્યાને લેવાની રહેશે:
- રહેણાંક વિસ્તાર એટલે કે જ્યાં એક ક્લસ્ટરમાં 15 કે તેથી વધારે પાકા ઘરો આવેલ હોય તેવો વિસ્તાર (ઔદ્યોગિક એકમ દ્વારા બનાવેલ વર્કર્સ ક્વાર્ટર્સ / લેબર કોલોની સિવાય).
- CTE / CCA ધરાવતા ઔદ્યોગિક એકમના વિસ્તરણના કિસ્સામાં જો વિસ્તરણ હયાત પ્રિમાઇસીસમાં જ કરવાનાં હોય અને એકમની કેટેગરીમાં બદલાવ થતો ન હોય તો તેવા કિસ્સામાં સાઇટીંગ ક્રાઇટેરીયા લાગુ પડશે નહી. વધુમાં આવા કિસ્સામાં જરૂર જણાય તો Environment Management Systemમાં Stringent Norms તેમજ વધારાની Specific Conditions પાઠવી શકાશે.
- સર્વોચ્ચ અદાલત, એનજીટી કે વડી અદાલતના હુકમો કે તેના આધારે બનાવેલી વિસ્તાર વિશિષ્ટ નીતિ (એરીયા સ્પેસિફિક પોલીસી) ઉદ્યોગ વિશિષ્ટ નીતિ (ઇન્ડસ્ટ્રીઝ સ્પેસિફિક પોલીસી) અને સરકારના જાહેરનામાં લાગુ પડતા હોય તેવા કિસ્સામાં સાઈટીંગ ક્રાઈટેરીયા માટે સંલગ્ન હુકમોની જોગવાઈનું પાલન કરવાનું રહેશે.
- જીઆઈડીસી વિસ્તારમાં આવનાર ઔદ્યોગિક એકમને સદર સાઈટીંગ ક્રાઈટેરીયા લાગુ પડશે નહી પરંતુ જીઆઈડીસી દ્વારા જે નિતી અમલમાં મુકેલ હશે, તેનું પાલન કરવાનું રહેશે.
- પર્યાવરણીય મંજુરી મેળવેલ ન હોય તેવા ખાનગી એસ્ટેટમાં આવતાં તમામ ઔદ્યોગિક એકમોને સાઈટીંગ ક્રાઈટેરીયા લાગુ પડશે.
- સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના કાર્યક્ષેત્રમાં આવનાર સર્વિસ સેકટરના એકમો જેવા કે, હોટેલ, ઓટો મોબાઈલ સર્વિસ સ્ટેશન, હેલ્થ-કેર યુનિટ, રેલવે વર્કશોપ/સ્ટેશન, તમામ પ્રકારની લેબોરેટરી, ગોલ્ડ હોલમાર્ક યુનિટ, મહાનગરપાલિકા / નગરપાલિકા / સ્થાનિક સ્વરાજ સંસ્થાના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિગેરેને સાઈટીંગ કાઈટેરીયા માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના નિયમો લાગુ પડશે.
- કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા વર્ગીકૃત કરેલ બ્લુ કૅટેગરીના એકમો જેવા કે મ્યુનીસીપલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ફેસીલીટી (સેનીટરી લેન્ડફીલ / મટીરીયલ રીસાયક્લીંગ સાથેની ઈન્ટીગ્રેટેડ સેનીટરી લેન્ડફીલ / રીફ્યુઝ્ડ ડીરાઈવ્ડ ફ્યુઅલ, વિગેરે), વેસ્ટ ટુ એનર્જી પાવર પ્લાન્ટ્સ, લીગસી વેસ્ટના બાયો-માઈનીંગ પ્રોજેક્ટ્સ, મ્યુનીસીપલ સોલીડ વેસ્ટના બાયો-મીથેનેશન પ્લાન્ટ્સ, મ્યુનીસીપલ સોલીડ વેસ્ટ કમ્પોસ્ટીંગ ફેસીલીટી, મ્યુનીસીપલ સોલીડ વેસ્ટ રીકવરી ફેસીલીટી, કન્સ્ટ્રક્શન & ડીમોલીશન વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ્સ, વિગેરેને સાઈટીંગ ક્રાઈટેરીયા માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના નિયમો લાગુ પડશે.
- રાજ્યમાં અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા ડેવલોપમેન્ટ પ્લાન જાહેર કરી વિસ્તારોનો use/one અને તેમાં permissible use નિયત કરેલ છે. આથી, જો ઔદ્યોગિક પ્રવૃત્તિ અને સૂચિત સ્થળ જે-તે જાહેર કરેલ ડેવલોપમેન્ટ પ્લાન પ્રમાણે લાગુ પડતા ઝોનિંગ (use/one) અને permissible use પ્રમાણે પરવાનગી પાત્ર હોય તો બોર્ડની સીટીઈ (CTE) માટે પાત્ર ગણી શકાશે. ઊ.દા. રહેણાંક/ કોમર્શિયલ/ એગ્રિકલ્ચર વિગેરે ઝોનમાં જે- તે permissible useમાં સમાવિષ્ટ ઔદ્યોગિક પ્રવૃત્તિ મંજૂરીપાત્ર ગણી શકાશે. અત્રે, ઝોનિંગ (use/one) સિવાયના બોર્ડ દ્વારા જાહેર કરેલ અન્ય siting criteria યથાવત રહે છે.
- ઉકત સાઈટીંગ ક્રાઈટેરીયાના અનુપાલનની જવાબદારી ઔદ્યોગિક એકમની રહેશે. ખોટી અથવા ક્ષતિ પુર્ણ મહિતી આપનાર ઔદ્યોગિક એકમને આપેલ પરવાનગી રદ્દ થવા પાત્ર રહેશે.
- સાઈટીંગ ક્રાઈટેરીયા બાબતે આ પરિપત્રમાં સમાવેશ ન થતા હોય એવા કિસ્સાઓને બોર્ડની સાઈટીંગ ક્રાઈટેરીયા માટેની સમિતિમાંમુકવાના રહેશે.










