અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે ૪૦થી વધુ ગાડી એકસાથે અથડાઈ

સોમવારે રાજ્યના અનેક શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ જ કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે. દ્વારકા-ખંભાળિયા હાઈવે પર ધુમ્મસને કારણે બે ગાડી વચ્ચે ટક્કર થઈ છે. આ બનવમાં ત્રણ લોકોનાં મોત થયા છે. બીજી તરફ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગાઢ ધુમ્મસને કારણે એક બે નહીં પરંતુ ૩૦થી ૩૫ જેટલા વાહનોને અકસ્માત નડ્યો છે. જોકે, કોઈ પણ બનાવમાં જાનહાની થઈ હોવાના સમાચાર પ્રાપ્ત નથી થયા. એક વાહન પાછળ બીજાની ટક્કરના બનાવો પણ બન્યા છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ ઘટી જાય છે. લોકોને ૫૦ કે ૧૦૦ ફૂટથી આગળનું કંઈ દેખાતું નથી. બીજી તરફ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વાહન ચાલકો વધારે સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે.

આ જ કારણે આગળની ગાડી ન દેખાતા અકસ્માત સર્જાતા હોય છે. રાજ્યના અન્ય હાઇવે પર પણ લોકોને ૩૦ની ઝડપે વાહન હંકારવાની ફરજ પડી છે. એક અંદાજ પ્રમાણે અમદાવાદ-વડોદરા હાઇવે પર ૩૦થી ૩૫ વાહનને ધુમ્મસને કારણે અકસ્માત નડ્યો છે. આ અંગેનો વીડિયો અને તસવીરો પણ સામે આવી છે. સામાન્ય રીતે એક્સપ્રેસ હાઇવે પર એક કારને અકસ્માત નડ્યા બાદ તેની પાછળ બીજી કાર કે વાહનો અથડાવાના અનેક બનાવો બનતા હોય છે. સોમવારે રાજ્યના અનેક શહેરમાં ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. સુરત શહેરમાં પસાર થતાં નેશનલ હાઈવે પર આજે વિઝિબિલિટી ઘટીને ૫૩ થઈ ગઈ હતી.

શહેરે જાણે ધુમ્મસની ચાદર ઓઢી લીધો હોય તેવો માહોલ સર્જાયો હતો. આ કારણે વાહન ચાલકો ખૂબ પરેશાન થયા હતા. લોકો હેડલાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને વાહન હંકારતા જોવા મળ્યા હતા. અરવલ્લી અને પંચમહાલમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં આવા અકસ્માતો મોટા પ્રમાણમાં બનતા હોય છે. દિલ્હી-આગ્રા હાઈવે પર એક વાહન પાછળ ૧૦-૧૫ વાહન ટકરાયા હોય તેવા બનાવો પણ બનતા રહે છે. ગાઢ ધુમ્મસને કારણે સામાન્ય રીતે જીરૂના પાકને નુકસાન થતું હોય છે, જ્યારે ઘઉંના પાકને ફાયદો પણ થતો હોય છે.