પાકિસ્તાનના ૩ કરોડથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા

પૂરના કારણે પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. સ્વાત અને સિંધુ નદીઓના જર્જરિત સ્વરૂપને કારણે લગભગ અડધો દેશ ડૂબી ગયો છે. આ પૂરથી ૩ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ બગડતી પરિસ્થિતિને જોતા સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે ઇસ્લામાબાદ સ્થિત રાજદૂતો, ઉચ્ચાયુક્તો અને અન્ય પસંદગીના રાજદ્વારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને દેશમાં પૂરની ભયંકર પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

બલૂચિસ્તાન અને સિંધ પ્રાંતમાં સ્થિતિ સૌથી ખરાબ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, પાકિસ્તાનમાં ૧૪ જૂન પછી સિંધ પ્રાંતમાં સૌથી વધુ મોત થયા છે. દેશનો લગભગ ૭૦ ટકા વિસ્તાર પૂરની ઝપેટમાં છે. કરાચીથી પંજાબ, બલુચિસ્તાન સુધીની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. પર્યાવરણ મંત્રી શેરી રહેમાનના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં આઠ વખત ચોમાસાનો રાઉન્ડ આવ્યો છે, જ્યારે દર વર્ષે સરેરાશ માત્ર ત્રણ વખત આવે છે.

અહીં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. દેશના ઘણા ભાગોમાં બસો અને ટ્રેનોને સ્થગિત કરી દેવામાં આવી છે. ગૃહમંત્રી સના ઉલ્લાએ કહ્યું છે કે, પૂરની સ્થિતિમાં જાન-માલની સુરક્ષા માટે સેનાને તૈનાત કરવામાં આવી છે. દેશમાં ઈમરજન્સી છે અને સુરક્ષા દળો રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. એક દાયકા પછી પૂરની આવી પાયમાલી જોવા મળી રહી છે. દેશમાં ૭ લાખ મકાનો સંપૂર્ણ અથવા આંશિક રીતે ક્ષતિગ્રસ્ત છે, તો લગભગ ૫૭ લાખ લોકો બેઘર થઈ ગયા છે.