ફેકટરીમાં બોઈલર બ્લાસ્ટ માં ઘણા લોકોને ઈજા પહોચી , અમુક ને હોસ્પિટલ ખસેડાયા

ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર ગામના ઘાંઘળી વિસ્તારની નજીક એક ફેકટરીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા થયેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૨થી વધુ લોકો ફસાયા હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડેલ છે.

આ અંગે મળતી વિગતો મુજબ સિહોરના ઘાંઘળી ખાતે જી.આઈ.ડી.સી.નંબર.૪માં આવેલી અરિહંત ફર્નેસ રોલીંગ મીલમાં રાત્રીના સમયે એકાએક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થતા ભારે દોડધામ મચી ગઈ હતી. તેઓને પ્રાથમિક સારવાર આપીને પાંચ કામદારોને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાવનગર, વલભીપુર, સિહોર અને નારીની ૧૦૮ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ધસી ગઈ હતી.

ફેકટરી ઝકરીયાભાઈ અને અન્ય એક રજપુત શખ્સની હોવાનું જાણવા મળેલ છે. ઠેકેદાર સુનિલભાઈ છે જ્યારે મેનેજર ભરતભાઈ છે. બનાવની જાણ થતાં જ સિહોર પી.આઈ., ઘાંઘળી જી.પં. સભ્ય ભોળાભાઈ ચુડાસમા સહિતના આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા.બહારથી આવેલા ભંગારને ભઠ્ઠીમાં નાખતા જ અચાનક બ્લાસ્ટ થયો હોવાનું ઘવાયેલા એક યુવાને જણાવ્યું હતું. સિહોરથી ઘાંઘળી રોડ પર આવેલ અરીહંત રોલીંગ મીલ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા ૮થી૯ મજુરોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.