ભારત જૈવવૈવિધ્યતાનું હોટસ્પોટ: ભારતની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટી વિશ્વની જૈવવૈવિધ્યતાના ૭ ટકાથી વધુ

ગુજરાતમાં તા.૨ થી ૮ ઓકટોબર દરમિયાન તમામ ૩૩ જિલ્લા અને ૨૫૦ તાલુકાઓમાં
‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી કરાશે

ભારત જૈવવૈવિધ્યતાનું હોટસ્પોટ છે. પ્રાણીઓ અને વૃક્ષોની વિવિધ પ્રજાતિઓની વિશાળ શ્રેણીનું ઘર પણ છે. ભારતની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ વિશ્વની જૈવવિવિધતાના ૭ ટકાથી વધુ છે. આ સમૃદ્ધ જૈવવૈવિધ્યતાની જાળવણી માટે યોગ્ય શિક્ષણ અને જાગૃતિની જરૂર છે જેને પ્રોત્સાહિત કરવા ભારતભરમાં દર વર્ષે ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘મન કી બાત’ની ૧૦૫મી આવૃત્તિમાં પ્રાણી કલ્યાણ માટે કાર્ય કરવા પર ભાર મુક્યો હતો. ગુજરાતમાં પણ વન વિભાગ દ્વારા આ વર્ષે તા.૨ થી ૮ ઓકટોબર દરમિયાન તમામ ૩૩ જિલ્લા, ૨૫૦ તાલુકા તેમજ ગ્રામીણ વિસ્તારમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત ભારતભરમાં સ્વછતા અભિયાન સ્ફળતાપૂર્વક ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં આવેલા તમામ અભયારણ્ય અને રાષ્ટ્રિય ઉદ્યાનોના વિસ્તારોને ૧૦૦% પ્લાસ્ટિક ફ્રી કરવા માટેનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.

મુખ્ય ઉદ્દેશ્ય:

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાણીસૃષ્ટિના સંરક્ષણ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ખોરાક અથવા અન્ય હેતુઓ માટે પ્રાણીઓની હત્યા અટકાવીને મોટી સંખ્યામાં પ્રાણીઓને બચાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વન્યપ્રાણી સપ્તાહની કલ્પના લુપ્તપ્રાય અને જોખમમાં મુકાયેલી પ્રજાતિઓના પ્રાણીઓના જીવનને સુરક્ષિત કરવાના લાંબા ગાળાના ધ્યેય સાથે મહત્વપૂર્ણ પગલાં વિશે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. આ પૃષ્ઠભૂમિમાં, ભારત સરકારે ભારતીય વન્યજીવ બોર્ડની રચના કરી છે જે વન્યજીવનના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

વન્ય પ્રાણી સપ્તાહ૨૦૨૩

પૃથ્વી પર જંગલો અને વન્યપ્રજાતિઓથી માનવ પ્રજાતિને આર્થિક-મનોવૈજ્ઞાનિક સહિત અન્ય રીતે લાભ મળી રહ્યો છે. આ લાભની લાલચમાં વન્યજીવોને મોટા પાયે નુકસાન પહોંચાડાઈ રહ્યું છે. આ કુદરતી સંસાધનોનું જતન કરવું આજના સમયમાં અત્યંત આવશ્યક થઈ ગયું છે. સપ્તાહ દરમિયાન વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે જેમા તમામ વયના નાગરિકોને વન્યજીવનનું મહત્વ સમજાવવામાં આવે છે. આ ઉદેશ્યને ચરિતાર્થ કરવા વન વિભાગના અધિકારીઓ જે તે જિલ્લાની શાળા અને કોલેજોમાં લેક્ચર દ્વારા આ અઠવાડિયાની  ઉજવણી કરાશે. સોશિયલ મીડિયાના માધ્યમથી વાઇલ્ડલાઇફ સપ્તાહના કાર્યોને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

વન્ય પ્રાણી સપ્તાહનું મહત્વ

વન્યજીવોને થતા કોઈપણ લાંબા ગાળાના નુકસાન સમગ્ર જીવસૃષ્ટિને જોખમમાં મૂકી શકે છે. તેથી, વન્યજીવનનું વ્યવસ્થિત રીતે અને પૂરા દિલથી રક્ષણ કરવું અત્યંત જરૂરી છે. જંગલો, જંગલમાં રહેતા પ્રાણીઓ, ઇકોસિસ્ટમ અને મનુષ્યો વચ્ચે સહજીવન સંબંધ છે.

જંગલો, તેમાં રહેતી પ્રજાતિઓ અને તેમના પર નિર્ભર આજીવિકા ઘણા વૈશ્વિક કટોકટીના આંતરછેદ પર છે, જેમાં આબોહવા પરિવર્તન, જૈવવિવિધતાની ખોટ અને COVID-19 રોગચાળાની આરોગ્ય, સામાજિક અને આર્થિક અસરોનો સમાવેશ થાય છે. જેથી વન્ય પ્રાણી વિશે જાગૃતિ લાવવી એ અત્યંત જરૂરી છે.

પ્રાણીઓના અસ્તિત્વથી પ્રકૃતિમાં પર્યાવરણીય સંતુલન જળવાઈ રહે છે. પ્રાણીઓ અને કુદરતી પર્યાવરણને બચાવવા માટે વિવિધ યોજનાઓના અમલની સાથે પ્રાણીઓના હિતમાં ઘણા કાયદા પણ  રાજ્ય સરકારે પસાર કર્યા છે. નિર્દોષ પ્રાણીઓ પર થતા હુમલા રોકવા સરકારે ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યો વિકસાવીને આરક્ષિત કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારના વન્ય જીવ સંરક્ષણના પ્રયાસો

ઉત્તરાયણ દરમિયાન દોરાઓથી ઘાયલ થયેલા પક્ષીઓના સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે. કરુણા અભિયાન-૨૦૨૩ દરમિયાન વન વિભાગ દ્વારા કુલ-૧૩,૦૦૮ પક્ષીઓનું  સારવાર અર્થે રેસ્ક્યુ કરાયું હતું જે પૈકી કુલ-૧,૧૮૪ પક્ષીઓના મૃત્યુ થયા હતા તેમજ  કુલ-૧૧,૮૨૪ પક્ષીઓની સારવાર કરીને બચાવી લેવામાં આવ્યા હતા. આ સિવાય વર્ષ ૨૦૨૩માં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે તા. ૧૦ મી ઓગષ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત ગુજરાતમાં સિંહ વિચરણ ધરાવતા કુલ ૧૦ જિલ્લાઓના ૭૪ તાલુકાઓની ૭,૦૦૦થી વધુ શાળાઓમાં સિંહ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં આશરે ૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ-વન્ય પ્રાણી પ્રેમીઓ સહભાગી થયા હતા. રાજ્યમાં પ્રથમવાર ૧૩ મી ઓગષ્ટ વિશ્વ વરુ દિવસના રોજ સક્કરબાગ ઝૂ માં ઉછેર કરેલ વરુને આંબરડી સફારી પાર્ક, દેવળીયા સફારી પાર્ક અને નડાબેટ ખાતે નવનિર્મિત વરુ સોફ્ટ રીલીઝ સેન્ટરમાં મુક્ત કરવામાં આવેલ. રાજ્ય સરકારશ્રી દ્વારા સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ ની પુન: રચના કરી વન્યપ્રાણી સંરક્ષણ અંગેની નવી નીતિઓ બાબતે ચર્ચા વિચારણા કરે છે.

અગ્ર મુખ્ય વન સંરક્ષક,વન્યજીવ અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન એન.શ્રીવાસ્તવે રાજ્યમાં તા. ૨ ઓક્ટોબરથી યોજાનાર વન્ય પ્રાણી સપ્તાહ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે  વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી વધુ ખાસ બનાવવાના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. રાજ્યભરમાં આ અઠવાડિયામાં નાગરિકોમાં વન્યજીવન અને પ્રાણી સૃષ્ટિ પ્રત્યે જનજાગૃતિ ફેલાય એવા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક મહાનુભાવોની હાજરીમાં ચિત્ર સ્પર્ધા, શહેરોની મોટી દિવાલો પર પેઇન્ટિંગ અને રેલીઓ યોજવામાં આવશે. ઉપરાંત જિલ્લાવાર નેચર એજ્યુકેશન શિબિરનું અને જંગલ વિસ્તારમાં ટ્રેકિંગનું આયોજન કરાશે. આ શિબિરમાં રાત્રિ રોકાણની વિશેષ વ્યવસ્થા કરીને બાળકોને અને શિબિરમાં જોડાનારને વન્યજીવન-વન્યપ્રાણીઓ અંગેની માહિતી આપવામાં આવશે. વધુમાં વન્યજીવન અને વન્યપ્રાણીઓને નડતી સમસ્યાઓને નિવારવામાં માનવી કઈ રીતે સહભાગી થઈ શકે એ વિષય પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને સોશિયલ મિડીયાના માધ્યમથી પણ વધુમાં વધુ લોકો સુધી સંદેશો પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવશે.