ભરૂચના શુકલતીર્થ ગામે મકાનમાં આગ લાગતા બાજુના બે મકાનો પણ ચપેટમાં આવ્યા

ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના શુકલતીર્થ ગામના ખોરીબારા ફળીયામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. સૂત્રો અનુસાર ખોરીબારા ફળીયામાં દેવાભાઇનું મકાન ભાડે આપેલું હતું. જેમાં બંધ મકાનમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી.

આગના પગલે સમગ્ર શુકલતીર્થ ગામમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકામાંથી ૨ તથા એનટીપીસી ઝનોરથી ફાયરબ્રિગેડના જવાનોએ પહોંચી જઈ બેથી અઢી કલાકની મહામહેનતે આગને કાબુમાં લીધી હતી.

આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના બે મકાનોને પણ ચપેટમાં લીધાં હતાં. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની થઈ નહોતી, પણ સંપૂર્ણ મકાન બળીને ખાખ થયું હતું.ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે મકાનમાં અગમ્ય કારણોસર આગની ઘટના બની હતી. ભરૂચ નગરપાલિકાના બે અને એનટીપીસી કંપની ઝનોરના ફાયર ફાઈટરે વિકરાળ બનેલી આ આગને કાબુમાં લીધી હતી.