બજારમાં છૂટકમાં લસણના ભાવ પણ આસમાને પહોંચતા ગૃહણીઓ પરેશાન

જામનગરઃ લસણના ભાવ વધારાથી ગ્રહણિઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોંચતા હાલ ગ્રહણીઓની રસોઈમાં લસણનો ઉપયોગ થોડો ઓછો થતો હોય તેવો ઘાટ સર્જાયો છે. જેના કારણે ગ્રહણીઓની રસોઈ ફીકી પડી રહી છે. જ્યારે હાલ લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ક્યાંક ને ક્યાંક ભાવો આસમાને પહોંચી રહ્યા છે.

જામનગરમાં શાકભાજીની બજારમાં છૂટકમાં લસણના એક કિલોના રૂ.૨૫૦થી ૩૦૦ સુધીના ભાવ છે. જ્યારે ફોલેલા લસણના તો ૩૫૦થી ૪૦૦ સુધીના ભાવે વેચાઈ રહ્યું છે. જામનગરની બજારમાં લસણની ખરીદી કરવા આવતી મહિલાઓ પણ લસણના વધતા ભાવોને લઈને ક્યાંક ને ક્યાંક ભારે મૂંઝવણમાં મુકાય છે. જ્યારે લસણના વધતા ભાવો અંગે જામનગરના શાકભાજીના વેપારીઓ જણાવી રહ્યા છે કે હાલ લસણની નિકાસ ખૂબ મોટાપાયે કરવામાં આવી રહી છે અને જેના કારણે યાર્ડમાં આવક ઘટી રહી છે. જેના પગલે જામનગરની બજારોમાં લસણના ભાવ ખૂબ ઊંચા જઈ રહ્યા છે અને હજુ જો આ નિકાસ બંધ નહીં કરવામાં આવે તો આગામી બેથી ત્રણ મહિના આ પ્રકારે લસણના ભાવ બજારોમાં હજુ પણ વધી શકે તેવી સંભાવનાઓ છે.

આ વચ્ચે હાપા માર્કેટ યાર્ડમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. હાપા યાર્ડમાં જથ્થાબંધમાં એક મણના રૂપિયા ૩૫૦૦થી ૪૦૦૦ સુધી લસણના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષે હાપા યાર્ડમાં લસણના એક મણના રૂપિયા ૫૦૦થી ૧૦૦૦ સુધીના જ ભાવ હતા. દર ત્રણ વર્ષે આ પ્રકારની જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં પરિસ્થિતિ સર્જાય છે. તેના પગલે છૂટક બજારમાં લસણના ભાવ ઉંચા જાય છે. જ્યારે હાલ લસણનું ઉત્પાદન ઓછું અને માંગ વધવાના કારણે ભાવોમાં પણ ધરખમ વધારો થતો હોવાનું હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું. કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવને થઈ અસર છે. સુરતમાં લસણનો ભાવ પ્રતિ કિલો ૩૦૦ રૂપિયા છે.

લસણના ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીઓ બજેટ ખોરવાયું છે. દિવાળી સમયે પ્રતિ કિલો ૨૦૦ રૂપિયા લસણનો ભાવ હતો.હવે પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાનો વધારો થતાં ૩૦૦ રૂપિયા કિલો લસણ વેચાઈ રહ્યો છે. સુરતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી લસણ આવે છે. કમોસમી વરસાદના કારણે ભાવમાં વધારો નોંધાતા ગૃહિણીઓ ખરીદી પર કાપ મૂક્યો છે.