ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ ૨૧.૬૪ ઇંચ વરસાદ : રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ ૨૧.૬૪ ઇંચ વરસાદ તથા ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં ૧૯.૨૪ ઇંચ, તાલાલા તાલુકામાં ૧૧.૯૬ ઇંચ તથા રાજકોટના ધોરાજી તાલુકામાં ૧૧.૦૮ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ કુલ રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.

 

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૯ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૨૨.૩૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૨૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૧.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૪૪.૬૧ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૩.૫૩ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં ૨૧૮ મિ.મી.,  માંગરોળમાં ૧૯૩ મિ.મી., જામકંડોરણામાં ૧૭૬ મિ.મી., ઉપલેટામાં ૧૧૯ મિ.મી., મેંદરડામાં ૧૦૮ મિ.મી., માળીયાહાટીનામાં અને વાપીમાં ૧૦૬ મિ.મી., સુરત શહેરમાં ૧૦૪ મિ.મી.,  પેટલાદમાં ૧૦૦ મિ.મી. આમ કુલ ૧૪ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જયારે કેશોદ તાલુકામાં ૮૮ મિ.મી., લુણાવાડામાં ૮૭ મિ.મી., દસાડામાં ૭૬ મિ.મી., વડાલીમાં ૬૪ મિ.મી., ખેરગામમાં ૬૨ મિ.મી.,  વિસાવદરમાં ૬૦ મિ.મી. તથા માણાવદરમાં ૫૮ મિ.મી. આમ કુલ ૨૦ જિલ્લાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૧૫૬ જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

 

આ ઉપરાંત સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માળીયાહાટીના તાલુકામાં ૧૫૮ મિ.મી.,  પાટણ-વેરાવળમાં ૧૦૭ મિ.મી., વાપીમાં ૯૪ મિ.મી., સુત્રાપાડામાં ૬૯ મિ.મી. આમ કુલ ૫ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.