વડોદરામાં ૧૦ લાખના ખર્ચે પર્યાવરણ બચાવો થીમ પર ગણેશપંડાલ
ક્લાઇમેન્ટ ચેન્જના કારણે જે કુદરતી હોનારતો બની રહી છે અને આપણે પર્યાવરણની જાળવણીથી વિમુક્ત થઇ રહ્યા છીએ તેને જોતા પર્યાવરણ બચાવો થીમ પર આ વખતે ગણેશ પંડાલનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અમે છેલ્લા ૩૨ વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરીએ છીએ. આ માટે ૧૦ લાખથી વધુનો ખર્ચ થશે. દસ દિવસ સુધી અમે ગણેશસ્પાથન રાખીએ છીએ અને અનંત ચતુર્થીના દિવસે વિસર્જન કરીએ છીએ.
આ દરમિયાન દરરોજ સરેરાશ ૪થી ૫ હજાર ભક્તો દર્શન માટે આવે છે. આ વખતે ગણેશોત્સવના આયોજન માટે શ્રીયાન ચેરીટેબલ ટ્રસ્ટ પણ બનાવ્યું છે. મુખ્ય રોડથી રાજસ્થંભ સોસાયટી સુધી બંને તરફ લાઇટિંગ કરવામાં આવ્યું છે. તેમજ ગણેશ પંડાલની થીમ પર્યાવરણ બચાવોની છે એટલે ગુફામાં પ્રવેશતા હોય તેવું પ્રવેશદ્વાર રખાયું છે. અંદર પ્રવેશ કરતા જ વડોદરાની ઓળખ બની ગયેલા મગર, નદી અને પુલ બનાવાયા છે. જ્યારે ગણેશજી જંગલમાં વડના વૃક્ષ નીચે બિરાજમાન છે અને તેમની આજુબાજુમાં રિદિ્ઘ-સિદિ્ઘ બિરાજેલા છે. પંડાલમાં વડવાઇ, વહેતા ઝરણા, પશુપક્ષીઓની સ્ટેચ્યું મુકવામાં આવ્યા છે.ગણેશોત્સવનો આજથી પ્રારંભ થઇ ગયો છે.
વડોદરામાં પંડાલો અને સોસાયટીઓમાં શ્રીજીની સ્થાપના ખૂબ જ ભક્તિભાવપૂર્વક થઇ ચુકી છે. ત્યારે શહેરના પોલોગ્રાઉન્ડ પાસે આવેલ રાજસ્થંભ સોસાયટીમાં પર્યાવરણ બચાવો થીમ પર ડેકોરેશન કરી ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ માટે ૧૦ લાખ ઉપરાંતનો ખર્ચ કરવામાં આવ્યો છે.











