કપડવંજમાં ચવાણાની ફેક્ટરીમાં ભીષણ આગ, ૪ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

કપડવંજ – મોડાસા રોડ ઉપર આવેલી સ્વામી મેન્યુકેક્ચર ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટનાની વિગતો મળી હતી. જેમાં રાધે નમકીન એડવાન્સમાં આગ લાગી હોવાની જાણવા મળ્યું હતું. જેમાં નમકીન, તેલ, બેસન, તેમજ અન્ય મરીમસાલા આગમાં બળી ભસ્મ થયેલા જોવા મળ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. ઉપરાંત, આ આગ એટલી વિકરાળ હતી કે, દુકાનોનું ફર્નિચર પણ બળી ગયું હતું. સ્વામી મેન્યુફેક્ચરમાં આગ લાગવાથી ફેક્ટરીનો ટોટલ માલ બળી ગયાના અહેવાલ મળ્યા હતા. નમકિનના જથ્થા બંધ પેકેટ આગના કારણે ભસ્મીભૂત થઈ ગયા હતા. તો બીજી તરફ બળતામાં ઘી હોમાય તેમ તેલના ડબ્બાથી આગે ભયંકર સ્વરૂપ ધારણ પકડ્યું હતું.

આ વિકરાળ આગમાં તેલના ડબ્બા, તેલથી ભરેલી ટાંકીઓ પણ ભસ્મ થઈ ગઈ હતી. ત્યારે ફેક્ટરી માલિક વિપુલભાઈ પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, લાખોની કિંમતના નમકીન, મસાલા, બેસન, તેલ તેમજ મશીનરી પણ આગમાં બળી ને ખાક થઈ ગઈ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં કપડવંજ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરી લીધીને આજુબાજુની અન્ય ફેક્ટરીઓને બચાવી લીધી હતી. આ ઘટનાને લઈ ચીફ ઓફિસર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદ પુરી પાડી હતી. સદનસીબે કોઈ જાનહાનિની ઘટના બની ન હતી. સમગ્ર ઘટનાને લઈ પોલીસ વિભાગમાં ફરિયાદ નોંધાવી હોવાનું તેમણે જણાવ્યું હતું.