સ્લવાસમાં આવેલી સોરઠીયા મસાલા મીલમાં ભીષણ આગ

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસના એસટી ડેપોની નજીક આવેલી પ્રખ્યાત મસાલા મીલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મસાલા મીલના માલિકનો પરિવાર પણ મીલની ઉપર બનાવેલા મકાનમાં રહેતા હતા. ત્યારે અચાનક મીલમાંથી ધુમાડા સાથે આગ પકડી લીધી હતી. જેથી અંદર કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી.

મીલના મેનેજરે સમયસૂચકતા વાપરીને કામદારોને લઈને તાત્કાલિક મિલની બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ સેલવાસના નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ ઉપરાંત મીલ માલિકના પરિવારનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાંચ સભ્યોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. વાપી સને સરીગામની ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે. મસાલા કંપનીમાં આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જેને કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ ઉપર કાબુ મેળવવા આવી રહેલા દમણના ફાયર વિભાગની ટીમનું ફાયર ફાઇટર લવાછા પાસે અચાનક પલ્ટી ગયું હતું.

દમણ ફાયર ફાઇટર નં. ડીડી-૩૦-એલ-૦૧૦૨ ૨૦૧૮ અચાનક પલટી જવાથી ફરજ બજાવતા ૩ ફાયર વિભાગના કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓએ ૧૦૮ની ટીમની મદદ મેળવી ફાઈયર ફાઈટરમાં ઇજા પામેલા ફાયર વિભાગના જવાનોની બચાવ કામગીરી સ્થાનિક લોકોએ હાથ ધરી હતી ૧૦૮ ની ટીમલી મદદ મેળવી ફાયરના ઇજાગ્રસ્ત ત્રણ જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ ટોકરખાડા વિસ્તારમાં આવેલી સોરઠીયા મસાલા મીલમાં અગમ્ય કારણસર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. સેલવાસ ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ સાથે સાથે આગ બૂઝાવવા આવી રહેલું દમણ ફાયર વિભાગનું ફાયર ફાઇટર લવાછા પાસે અચાનક પલટીખાઇ જતાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.