યમુના નદીના જળ સ્તરમાં સતત વધારો થતા દિલ્હીમાં વધી રહ્યું છે પૂરનું જોખમ

ભારતમાં ચોમાસુ શરૂ થયા બાદ ઘણા રાજ્યોમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દિલ્હીમાં યમુના નદીનું જળ સ્તર વધ્યું છે. આજે સવારે ૯ વાગ્યા સુધીમાં યમુનાનું જળ સ્તર ૨૦૭.૩૨ મીટરે પહોંચ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં બે દિવસથી પડેલા વરસાદથી દિલ્હીના લોકોમાં પૂરનો ભય છવાયો છે.

હથિનીકુંડ બેરેજમાંથી યમુનામાં પાણી છોડવામાં આવ્યું ત્યારે યમુના ખતરાના નિશાનથી ૨ મીટર ઉપર વહેવા લાગી. સ્થિતિ એવી છે કે યમુના કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકો ઘૂંટણ સુધીના પાણીમાં રહેવા મજબૂર છે. આજે સવારે યમુનાનું જળસ્તર ૨૦૭થી વધુ નોંધાયું હતું, અનુમાન છે કે આ સ્તર હજું વધારે વધી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે દિલ્હીમાં યમુના નદી મંગળવારે તેના ૧૦ વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ સ્તરે પહોંચી છે અને તે વધુ વધવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે યમુનાનું જળસ્તર વધુ વધીને ૨૦૭.૪૯ મીટરને પાર કરી શકે છે, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. ૧૯૭૮માં યમુનાનું જળસ્તર ૨૦૭.૪૯ મીટર નોંધાયું હતું. સેન્ટ્રલ વોટર કમિશન ના ફ્લડ-મોનિટરિંગ પોર્ટલ અનુસાર, જૂના રેલવે બ્રિજ પર પાણીનું સ્તર સોમવારે સાંજે ૫ વાગ્યે ૨૦૫.૪ મીટરથી વધીને મંગળવારે રાત્રે ૮ વાગ્યે ૨૦૬.૭૬ મીટર થયું હતું અને હવે તે વધીને ૨૦૭.૦૮ થઈ ગયું છે. તેનું કારણ હરિયાણા દ્વારા હથિનીકુંડમાંથી છોડવામાં આવતું પાણી છે. સેન્ટ્રલ વોટર કમિશને આગાહી કરી હતી કે બુધવારે વહેલી સવારે નદી ૨૦૭ મીટર સુધી વધશે. આ સાથે, તે આગળ વધવાનું ચાલુ રાખશે.