ઓગસ્ટમાં નહિવત વરસાદના કારણે પાકની માવજત કરવા માટે કટોકટી અવસ્થામાં જીવનરક્ષક પિયત જરૂરી

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં જૂન- જુલાઇ દરમ્યાન વરસાદ સારો રહ્યો છે. ઓગસ્ટ માસમાં વરસાદ નહિવત થયો છે. જેથી જમીનમાં ભેજની અછત વર્તાય છે. ખેડૂતો પોતાના વાવેતર કરેલ પાકને લઇને ચિંતાતુર બની ગયા છે. આ સમય દરમ્યાન ખેડૂતોને પોતાના પાકની માવજત કેમ કરવી અને ભેજનું નુકશાન અટકાવવા માટે નિંદણને સંપૂર્ણ દૂર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

ગાંધીનગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે કે, ચાલુ વર્ષે જૂન- જુલાઇ દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં વરસાદ સારા પ્રમાણમાં અને ખેતીલાયક રહ્યો હતો. જેથી જિલ્લાના ખેડૂતો દ્વારા સમયસર વાવણી શરૂ કરવામાં આવી હતી. સામાન્ય રીતે ચોમાસુ શરૂ થયા બાદ બે વરસાદ વચ્ચેનો સમયગાળા લંબાય તો જમીનમાં ભેજની અછત વર્તાય છે. તેમજ આ સમયગાળો વઘુ લાંબો રહે તો પાક આંશિક રીતે અથવા સંપૂર્ણ નાશ પણ પામી શકે છે. ગાંધીનગર જિલ્લામાં જૂન- જુલાઇના વરસાદ સારો થયો છે. ઓગસ્ટમાં નોંઘપાત્ર વરસાદ થયો નથી. જેથી ખેડૂતોને તેમના વાવણી કરેલા પાકની માવજત કરવા માટે કટોકટી અવસ્થામાં જીવનરક્ષક પિયત આપવાનું ભારપૂર્વક જણાવ્યું છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ પિયત પાણીની ઉપલબ્ધતા ઓછી હોય તો પાકને વૈકલ્પિક ચાસમાં પિયત આપવું. વધુમાં પાકને પિયત આપવા ટપક- ફુવારા પધ્ધતિનો ઉપયોગ કરવા પણ જણાવ્યું છે. ઉભી મગફળીમાં યોગ્ય સમયે પાળા ચડાવવા, બાષ્પીભવનને કારણે પાણીના નુકશાનને અટકાવવા સમયસર આંતરખેડ કરવા અને પાકને નિંદણમુકત રાખવા તથા મલ્ચીંગ કરવા પણ જણાવ્યું છે. જમીનની તિરાડો પુરવા માટે આંતરખેડ કરવા તથા ભેજની અછત જણાય ત્યારે પાકની પારવણી કરવા પણ કહ્યું છે. જો ભેજની વઘુ ખેંચ પડે તો વૈકલ્પિક હાર દૂર કરવા અને સુવિઘા હોય તો પાકને જીવનરક્ષક પિયત આપવાનું છે. વરસાદ ખેંચાયા પછી પૂરતો વરસાદ મળે ત્યારે મગફળી સિવાયના પાકોમાં નાઇટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવા અને પડતર જમીનમાં તલ, દિવેલા અથવા જુવારનું વાવેતર કરવા તથા પરિપકવ છોડની સમયસર લણણી કરવા પણ જણાવ્યું છે.