માવઠાના કારણે બહુચરાજીમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહિતના પાકને નુકશાન

કમોસમી વરસાદના કારણે મહેસાણાની બહુચરાજી APMCમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહીતના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો હતો. ત્યારે બહુચરાજી APMCમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરાતા કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહીતનો પાક પલળ્યો હતો. તો આ બાજુ ખેરાલુ, વડનગર, કડીના કેટલાક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતોમહેસાણા જિલ્લામાં આજે ગુરૂવારે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

જો કે હાલમાં વરસાદના કારણે મહેસાણા શહેર સહિત અનેક વિસ્તારોમાં ધુમ્મસ પછી વાતાવરણ ઠંડુ પણ બન્યું છે.

મહેસાણા, વડનગર, વિસનગર, ઊંઝા બજાર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતો પણ હતાશ થયા હતા. સાયક્લોનિક સર્ક્‌યુલેશન સિસ્ટમ સાથે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં આજે ગુરૂવારે વહેલી સવારથી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ બન્યું હતું. જો કે હાલમાં મહેસાણા શહેરમાં પણ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ભર શિયાળે વરસાદ આવતા પોતાના પાકનો બગાડ થતા ખેડૂતો હતાશ થઈ ગયા હતા. વહેલી સવારે નોકરી તેમજ ધંધા અર્થે જતા લોકોને પણ તકલીફ પડતાં તેઓ ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા.