‘બિપરજોય’ વાવાઝોડું આજે ૧૮૦ કિમીની ઝડપે ત્રાટકશે, કેરળ-કર્ણાટકમાં પડશે વરસાદ

વાવાઝોડું બિપરજોય હાલમાં અરબી સમુદ્રમાં છે. તોફાનના કારણે કેરળ અને કર્ણાટક સહિતના દરિયા કિનારાના રાજ્યોમાં ભારે વરસાદ થવાનો છે. આજે વાવાઝોડાના કારણે ઝડપી પવન પણ ફૂંકાશે.વાવાઝોડું બિપરજોય આગામી ૩૬ કલાકમાં વધુ તીવ્ર બનશે. આ વાવાઝોડું આગામી બે દિવસોમાં ઉત્તર-પશ્ચિમ તરફ વધશે. ભારતીય હવામાન વિભાગએ શુક્રવારે તેની જાણકારી આપી છે.

૮ જૂનની રાત્રે ૧૧.૩૦ વાગ્યે વાવાઝોડું છેલ્લે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં નોંધાયું હતું. આ સમય દરમિયાન તે ગોવાથી ૮૪૦ કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં હતું. તો મુંબઈથી આ ચક્રવાતી તોફાનનું અંતર ૮૭૦ કિમી હતું. તે મુંબઈથી દૂર પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડાના કારણે ૧૫૫-૧૬૫થી લઈને ૧૮૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. ૧૧ જૂન પછી ધીમે ધીમે પવનની ગતિ ઘટવા લાગશે. પવનની ગતિ પહેલા ૧૪૫-૧૫૫ કિલોમીટર પ્રતિકલાકે પહોંચશે અને પછી ઘટતી રહેશે. વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના રાજ્યો એલર્ટ મોડ પર છે. બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતથી લઈને કેરળ સુધી તેની અસર જોવા મળશે.વાવાઝોડા બિપરજોયને લઈને એવું કહેવામાં આવી રહ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ કિનારા પર ચોમાસાની શરૂઆત તેની અસર થઈ શકે છે.

જો કે, IMD અધિકારીઓએ જણાવ્યું કે ચોમાસું ગુરુવારે કેરળ પહોંચ્યું હતું. કેરળમાં ચોમાસાના મોડેથી આગમનનો અર્થ એ નથી કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં પણ ચોમાસું પહોંચવામાં સમય લાગશે.કેરળમાં ચોમાસું મોડું પહોંચવાના કારણે સામાન્ય રીતે દક્ષિણ રાજ્યો અને મુંબઈમાં પણ મોડું પહોંચતું હોય છે. અલ-નીનોની સ્થિતિ હોવા છતાં હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સિઝન દરમિયાન ભારતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.દિલ્હીમાં છેલ્લા ૨ દિવસથી તડકો જોવા મળી રહ્યો છે. આ કારણે તાપમાનમાં વધારો થયો છે અને લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે. જોકે, હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ બુલેટિન મુજબ, શુક્રવારે રાજધાની દિલ્હીમાં હળવો વરસાદ અને વાદળો જોવા મળી શકે છે. શનિવારથી શહેરમાં ભારે પવન પણ ફૂંકાશે.