માનવ સેવા ટ્રસ્ટની પર્યાવરણ રક્ષણની પહેલમાં વાદી સમાજના બાળકો પણ જોડાયા

વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓથી આજનો માણસ ઘેરાઈ રહ્યો છે તેવા સંજોગોમાં જન માનસમાં પર્યાવરણના જતનના સંસ્કાર રેડાય તેવા હેતુથી સાણંદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું છે. સાણંદની વિવિધ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના સહયોગથી ૧,૦૦,૦૦૦ જેટલા સીડબોલ બનાવી સાણંદ આસપાસ આવેલ પડતર જમીનમાં-ઝાંખરામાં મુકવાનું આયોજન હાથ ધરાયું છે. ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલા અભિયાનમાં સાણંદ નજીકની વાદી વસાહતના બાળકો પણ ઉત્સાહભેર જોડાઈને પ્રકૃતિ જતનના આ ભિયાનમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે.  હાલના સમયમાં પર્યાવરણ ઉપર ખતરાની ઘંટડી વાગી રહી . જેના પરિણામે માનવ સમાજ પર ઘાતક અસરો વર્તાઈ રહી છે ત્યારે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા હાથ ધરાનારી આ ઝુંબેશ પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ કરશે.

માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મનુભાઈ બારોટ કહે છે કે, “આજે નદી, નાળા અને તળાવો સુકાઈ રહ્યા છે, માનવને પીવાના પાણી માટે રઝાળપાટ કરવી પડે છે. ખેતી માટે પણ પાણી ઉપલબ્ધ કરવામાં પણ મૂશ્કેલી થઈ રહી છે. જો ભવિષ્યમાં પણ આ ખતરાની ઘંટીને ઓળખી માનવ સફાળો જાગશે નહીં તો વિપરિત પરિણામો ભોગવવા પડશે. આ પરિસ્થિતીને ધ્યાને લઈ માનવ સેવા ટ્રસ્ટે સાણંદ સ્થિત વિવિધ પ્રાથમિક શાળાના સહયોગથી પર્યાવરણ બચાવો ઝુંબેશ ઉપાડી લીધી છે. શાળાના બાળકો તથા અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી ૧,૦૦,૦૦૦ સીડબોલ બનાવી પર્યાવરણ રક્ષક બનવાની પહેલ કરી છે એ જ બતાવે છે કે, આગામી પેઢી પણ પર્યાવરણ બચાવવાની ઝુંબેશમાં સક્રિય યોગદાન આપવા તત્પર છે….ગત વર્ષે પણ અમારી સંસ્થા દ્વારા સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં તથા રીંગ રોડ નજીક મોટા પ્રમાણમાં સીડ બોલ નાંખવામાં આવ્યા હતા. તેના પગલે સંખ્યાબંધ લીમડાના વૃક્ષો ઉગી નીકળ્યા છે…’

આગામી સમયમાં સાણંદના અન્ય વિસ્તારમાં પણ સીડબોલનો પ્રયોગ મોટા પાયે કરવાનું વિચારાઈ રહ્યું હોવાનું  મનુભાઈ કહે છે. સાણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ બાવળના જંગલમાં ૧ લાખ સીડબોલમાં લીંબોળી, કણજી, પેલ્ટોફાર્મ, ગુલમહોર, સુબાવળ વગેરેના બી વાળા માટીના દડા નાખવાનું કાર્ય હાલ ચાલુ છે. કુદરતનો એવો ક્રમ છે કે જો બીજને માટી, ગરમી અને ભેજ મળી રહે તો તે આપો-આપ ભીતમાં ઉગી નીકળતા પીપળાની જેમ ઉગી જાય છે જો માત્ર થોડાજ બીજ ઉગી નીકળશે તો પણ આ મહેનત રંગ લાવી દેશે એમ તેઓ કહે છે…

વાદી વસાહતના અગ્રણી ગોરખનાથ કહે છે કે, ‘ અમારા બાળકો આમ તો સાપ અને વીંછી સાથે રમવા ટેવાયેલા છે. અમારી જીવન શૈલી પણ એ જ રીતે ગોઠવાઈ છે. પણ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અમારી વસાહતમાં વાદી પાઠશાળા બનાવાઈ છે. એમાં અમારા બાળકો શિક્ષણ તો મેળવે જ છે, સાથે યોગ પણ કરે છે. પરંતુ ટ્રસ્ટ દ્વારા સીડ બોલ બનાવીને બાવળ અથવા અન્ય વૃક્ષો નજીક મુકવાની નવતર પહેલ હાથ ધરાઈ છે. એમાં અમારા બાળકો પણ હોંશે હોંશે જોડાયા છે. આગામી સમયમાં આ વૃક્ષો મોટા થશે તો અમને અને આપણને સૌને ઉપયોગી થશે…’