ચંદ્રયાન-૩નું બીજું ડીબૂસ્ટિંગ ઓપરેશન સફળ રહ્યું, ચંદ્રયાન-૩ હવે ચંદ્રની એકદમ નજીક

શ્રીહરિકોટા: ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે. ISROએ બીજી અને છેલ્લી ડીબૂસ્ટિંગ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ ઓપરેશન બાદ ચંદ્રથી ચંદ્રયાન-૩નું અંતર વધુ ઘટી ગયું છે. લેન્ડર મોડ્યુલ હવે 25 km x 134 kmના અંતરે છે. મોડ્યુલ હવે આંતરિક તપાસમાંથી પસાર થશે અને લેન્ડિંગ સાઇટ પર સૂર્યોદયની રાહ જોશે. ઈસરોએ સવારે ૧.૫૦ વાગ્યે ચંદ્રયાન-૩નું બીજું ડિબૂસ્ટિંગ ઓપરેશન પૂર્ણ કર્યું હોવાની જાણકારી આપી હતી. સ્પેસ એજન્સીએ ટ્વીટ કર્યું કે લેન્ડર મોડ્યુલે તેનું બીજું અને છેલ્લે ડિબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. હવે તેની ભ્રમણકક્ષા ઘટીને ૨૫ કિમી x ૧૩૪ કિમી થઈ ગઈ છે.

શું હોય છે ડિબૂસ્ટિંગ ઓપરેશન?.. તે જણાવીએ તો ચંદ્રયાન-૩ પૃથ્વી પરથી ચાંદ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે તેને ચંદ્ર પર લેન્ડ થવા માટે તેની ઝડપ ઘટાડવાની પ્રક્રિયાને ડીબૂસ્ટિંગ કહેવામાં આવે છે. લેન્ડર મોડ્યુલનું પ્રથમ ડિબૂસ્ટિંગ ઓપરેશન ૧૮ ઓગસ્ટના રોજ થયું હતું. ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-૩ અત્યાર સુધીના આયોજન પ્રમાણે આગળ વધ્યું છે. જો બધું બરાબર રહ્યું તો ૨૩ ઓગસ્ટે ચંદ્રયાન-૩ સવારે ૫૪૭ વાગ્યે ચંદ્ર પર ઉતરશે. જો લેન્ડિંગ સફળ થશે તો ભારત ઈતિહાસ રચશે. રશિયા, અમેરિકા અને ચીન બાદ ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનશે. ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડિંગ પછી, લેન્ડરની અંદરનું રોવર (૨૬ કિગ્રા) રેમ્પ દ્વારા બહાર આવશે અને તેની આસપાસના વિસ્તારનું અન્વેષણ કરશે.

તમને જણાવી દઈએ કે ચંદ્રયાન-૩ને ઈસરોએ ૧૪ જુલાઈએ લોન્ચ કર્યું હતું. ૫ ઓગસ્ટે, તે પ્રથમ વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું. તેણે તેનો છેલ્લી ભ્રમણકક્ષા ૧૬ ઓગસ્ટે પૂર્ણ કર્યો. લેન્ડર મોડ્યુલને ૧૭ ઓગસ્ટના રોજ પ્રોપલ્થન મોડ્યુલથી અલગ કરવામાં આવ્યું હતું. આ વખતે અધૂરું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. ભારતે વર્ષ ૨૦૧૯માં ચંદ્રયાન-૨ મિશન લોન્ચ કર્યું હતું, જે સોફ્ટ લેન્કિંગ પહેલાં જ ખોરવાઈ ગયું હતું અને મિશન અધૂરું રહી ગયું હતું. હવે એ જ મિશન પૂરું કરવાનું છે. ચંદ્રયાન-૩નું કામ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું, ચંદ્રની આસપાસ ફરવું અને સંશોધન કરવાનું છે.