ભચાઉથી ૨૬ કિલોમીટર દૂર ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

વાગડ ફોલ્ટ લાઈન પર આવેલા ભચાઉ પંથકને વધુ એક ધરતીકંપના આંચકાએ ધ્રુજાવી મુક્યું હતું. આજે સવારે ૧૧.૧૧ મિનિટે ૩.૧ની તિવ્રતાનો આંચકા આવ્યો હતો. જેથી ભચાઉથી ૨૬ કિલોમીટર દૂર રાજનસર નજીક કેન્દ્રબિંદુ ધરાવતો વિસ્તાર ધણધણી ઉઠ્‌યો હતો. કચ્છમાં છેલ્લા મોટા ભૂંકપ બાદ શરૂ થયેલા આફ્ટરશોકનો સીલસીલો આજના આફ્ટરશોકથી યથાવત રહ્યો છે. લગાતાર આવતા રહેતા આંચકાઓથી લોકો પણ ટેવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

જોકે ક્યાંક નવા બાંધકામોમાં નિયમનું ઉલ્લંઘન થતું હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે ભૂંકપ પ્રત્યે સરકાર અને પ્રજા બન્ને જાગૃતિ દાઝવે તે જરૂરી બન્યું છે. ફેબ્રુઆરી માસમાં આજે રવિવારે ૩.૧ની તિવ્રતાના આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજણસર વિસ્તાર હતો. ત્યા આસપાસનો વિસ્તાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્‌યો હતો. ભચાઉ તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં આંચકાની અસર નહિવત જણાઈ હતી. ખાસ કરીને આ પૂર્વે ગત તા.૩૦ના આવેલા ૪.૨ની તિવ્રતાના આફ્ટરશોકથી લોકોમાં ચિંતાનો સંચાર થયો હતો. અલબત્ત ૩ની આસપાસની તિવ્રતા ધરાવતા આંચકા ખાસ ભયજનક હોતા નથી.