એએમસીના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૩ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, 3 એકમોને નોટિસ ઇસ્યુ કરાઈ

અમદાવાદઃ અંબાજી મંદિરમાં પ્રસાદમાં ઉપયોગમાં લેવામાં આવેલ ઘીનો જથ્થો અમદાવાદથી મોકલવામાં આવ્યો હતો.  આ બાબતે માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સને સીલ કરવામાં આવ્યું છે. નીલકંઠ ટ્રેડર્સની દુકાન તેમજ ગોડાઉન બંનેને સીલ કરી દેવામાં આવ્યા છે. પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

અમદાવાદમાં ગુરૂવારે ૧૭ એકમો પર ઘીની તપાસ કરવામાં આવી, જેમાંથી ૧૩ જગ્યા ઉપર સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા અને ત્રણ જગ્યાએ નોટિસ ઇસ્યુ કરવામાં આવી સેમ્પલ લીધેલા એકમો પર ૭૦૦ કિલો જેટલો જથ્થો વેચાણ અર્થે સ્થગિત રાખવામાં આવ્યો. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર ડૉ. ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર દ્રારા આપવામાં આવતા પ્રસાદમાં વપરાતા ઘી માં ભેળસેળ માલુમ પડતા અમદાવાદ શહેરના મધ્યઝોન વિસ્તારમાં ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ કામગીરી કરવામાં આવી છે.

મહત્વનુ છે કે આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા અલગ અલગ વોર્ડ વાઇઝ ખાધ્ય પદાર્થનો ધંધો કરતા એકમો, મીઠાઇ, ફરસાણના ધંધાઓ, પાણીપુરી વેચાણ વાળી જગ્યા, હોટલ રેસ્ટોરન્ટનું સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવશે તેમજ આવનાર દિવસોમાં રજીસ્ટ્રેશન અથવા લાયસન્સ વગર વ્યાપાર કરતા એકમોનું પણ સધન ચેકીંગ કરવામાં આવશે અને ચેકીંગ દરમ્યાન લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો જણાશે તો સીલ અથવા તો બંધ કરવા સુધીના કડક પગલા ભરવામાં આવશે. તમામ ફુડ બીઝનેસ ઓપરેટરોને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬  અન્વયેનું લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન મેળવી લઇ વ્યવસાય કરવો. તે પ્રકારની હેલ્થ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી.