સાવરકુંડલાના ડેમમાં પાણી હોવા છતાં કેનાલોમાં પાણી છોડવામાં આવતુ નથી

સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે શેલદેદુમલ ડેમ ૨૦ વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો. આ ડેમમાંથી ૭ ગામના ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહે તે માટે કેનાલો બનાવી આપવામાં આવી હતી. શેલદેદુમલ ડેમ વરસાદી પાણીથી ભરપૂર ભરાય છે, પરંતુ ઉનાળાના સમયમાં પણ આજદિન સુધી આ કેનાલોમાં ખેડૂતોને ચીંચાઈ પાણી આપવામાં આવ્યું નથી. આ કેનાલો દ્વારા પાણી આપવામાં આવે તો અહીં આસપાસના ૭ ગામોના આશરે ૭૦૦ જેટલા ખેડૂતોને સીધો લાભ મળી રહે તેમ છે. આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા છે. ૨૫૦ ફૂટ જેટલા જમીનના ઊંડા કુવા હોવા છતા પાણી નથી મળતું.

ખેડૂતોના પાકને પૂરતું પાણી ન મળવાના કારણે ખેડૂતોને તેમની મહેનતનું ફળ મળતું નથી અને ઘર આંગણે કેનાલમાં પાણી ન હોવાને કારણે માત્ર શોભાના ગાઠીયા સમાન હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઇ રોષ વ્યકત કરી રહ્યા છે.

અહીં કરોડોના ખર્ચ કરી કેનાલ તો બનાવી પણ પાણી છોડાતું નથી. ડેમ આખો ભરેલ છે પણ પાણી આપતા કેનાલમાં નથી આપતા. જમીનમાં પાણીના તળ ઊંડા છે બોર કરીએ તો પણ પાણી થતું નથી. કેનાલોમાં વર્ષોથી પાણી નથી છોડાયું તેનું કારણ એક જ છે કે કેનાલોમાં રિપેરીંગ કરવાનું છે. રિપેરીંગ માટે પણ સરકારમાં દરખાસ્ત કરી દીધી છે.