લીલા શાકભાજી ખાતાં પહલા અમદાવાદીઓ ચેતી જજો, કારણ કે…

લીલા શાકભાજી ખાતાં પહેલા અમદાવાદીઓ ચેતી જજો. કારણ કે લીલા શાકભાજીના નામે અમદાવાદીઓ કેન્સરનું ઝેર પેટમાં પધરાવી રહ્યા છે. કેમ કે સાબરમતી નદીમાં કેમિકલયુક્ત ઝેરી પાણીથી છોડવામાં આવે છે. અને આ પાણીમાંથી શાકભાજી ઉગાડવામાં આવે છે. કેન્સર જેવી ગંભીર બીમારીને આમંત્રણ આપતા તત્વો આ શાકભાજી દ્વારા અમદાવાદ જીલ્લાવાસીઓ આરોગે છે.

સાબરમતી નદીમાં અમદાવાદની વટવા, ઓઢવ અને નારોલની ફેક્ટરીઓનું ઝેરી કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે.

આ પાણી અમદાવાદથી આગળ વધી નાની વણઝાર, મોટી વણઝાર, કમોડ, બાંકરોલ, કાસિન્દ્રા, નવાપુરા, સરોડા સહિતના 25થી વધુ ગામમાં થઇ ખંભાતના અખાતમાં જાય છે. આ પાણી દ્વારા આ ગામડાઓના ખેડૂતો શાકભાજી ઉગાડે છે અને એ જ શાકભાજી પરત અમદાવાદ આવે છે. અને અમદાવાદીઓ આ શાકભાજીને આરોગે છે.

જેમાં મોટા પ્રમાણમાં મેટલ્સ, આરસેનિક, મર્ક્યુરી, ક્રોમિયમ નામના તત્વો હોય છે, જે કેન્સરને આમંત્રણ આપી શકે છે. ડૉક્ટરોના મતે કેમિકલયુક્ત પાણીથી ઉગાડેલા આ શાકભાજી ખાવાથી કેન્સર અને આંતરડાની ગંભીર બીમારીઓ થઈ શકે છે.

વાસણા બેરેજ પાસેથી સાબરમતી નદીમાં ફેક્ટરીઓનું કેમિકલયુક્ત પાણી ટ્રીટ કર્યા વિના જ ઠાલવવામાં આવે છે. આ પાણી સાબરમતી નદીમાં ધોળકા તાલુકાના ગામડાઓમાં જાય છે. જેનો ઉપયોગ ખેડૂતો શાકભાજી ઉગાડવા માટે કરે છે. કેમિકલયુક્ત પાણીના વપરાશને કારણે શાકભાજીમાં પણ ઝેરી કેમિકલની અસર આવે છે.

જેથી આ રસાયણો આપણા પેટમા જાય છે. ઝેરી રસાયણો વાળા શાકભાજી આરોગવાને કારણે અમદાવાદ જિલ્લમાં કેન્સર થવાના કેસો વધી રહ્યા છે.

આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબીના અધિકારીઓ કઇ કહેવા તૈયાર નથી. અધિકારીઓને આ બાબતે જાણ હોવા છતાં આંખ આડા કાન કરે છે. આ બાબતે સમયસર પગલાં લેવામાં નહીં આવે તો લાખો અમદાવાદીઓનો જીવ જોખમમાં મુકાશે.

નોંધનીય છે કે, સાબરમતીમાં પ્રદુષણને લઇને હાઇકોર્ટે પણ લાલ આંખ કરી છે. આમ છતાં, સાબરમતી નદીમાં બેરોકટોક કેમિક્લયુક્ત પાણી છોડવામાં આવે છે. જે વાતાવરણની સાથે લોકોના આરોગ્યને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે.