અમદાવાદઃ કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા પાંચ વ્યક્તિઓ દટાયા, ૧નું મોત

અમદાવાદઃ આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિક નજીક જુના જીએસટી ભવન પાછળ આવેલી શ્યામ કામેશ્વર હાઈટ્‌સ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા પાંચ વ્યક્તિઓ દટાયા હતા. બેઝમેન્ટના કામ દરમ્યાન નિર્માણધીન સ્લેબ ધસી પડ્યો હતો. જેમાં છત્તીસગઢના ૫ શ્રમિક દટાયા હતા. આ ઘટનામાં ૪ શ્રમિકોને તાત્કાલિક બહાર કાઢી લેવાયા હતા. પરંતુ એક દટાયેલા એક શ્રમિકને ફાયબ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ તેનું મોત થયું હતું.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આંબાવાડી વિસ્તારમાં જૂની જીએસટી ભવનની સામે કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની હતી. ત્યારબાદ સાંજે ૭ઃ૩૦ વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે આ દુર્ઘટનામાં કેટલાક લોકો દબાયા છે. નવરંગપુરા ફાયર સ્ટેશન અને જમાલપુર ફાયર સ્ટેશનની ૪થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ પહોંચે તેના પહેલા ચાર વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા. જ્યારે એક વ્યક્તિ દટાયેલી હાલતમાં હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વ્યક્તિને શોધી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ દટાયેલા વ્યક્તિને હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક અલ્કેશ પ્રતાપભાઈ ડોડીયા (ઉં. વ. આશરે ૧૩) હોવાનું જાણવા મળ્યું છે.