અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં મજૂરોને અન્યાય કરતા ઉદ્યોગો સામે 2757 ફરિયાદ મળી

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં મજૂરોને અન્યાય કરતા ઉદ્યોગો સામે 2757 ફરિયાદ મળી છે. આ ફરિયાદો જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાના ભંગ અન્વયે ફરિયાદ મળી છે.

વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતુ કે 31 ડિસેમ્બર, 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં ઉદ્યોગો સામે શ્રમ અને કાયદાના ભંગ અન્વયે 2757 ફરિયાદ મળી છે. આ ફરિયાદો પૈકી 153 ફરિયાદોમાં 669 શ્રમયોગીઓને 80.74 લાખનું સમજાવટથી ચૂકવણું કરવામાં આવ્યું છે. જ્યારે 630 ફરિયાદો પૈકી 260 સંસ્થા વિરુદ્ધ કુલ 301 કોર્ટ કેસો દાખલ કરવામાં આવ્યા છે.

ઉપરોક્ત ફરિયાદો પૈકી 170 ફરિયાદોમાં અરજદારોએ સંસ્થા સાથે સમાધાન કરી લીધું છે. 515 ફરિયાદોમાં શ્રમયોગીઓને લેબર કોર્ટમાં રીકવરી અરજી દાખલ કરવાની કે પુનઃસ્થાપનનો ઔદ્યોગિક વિવાદ ઉભો કરવા કે ગ્રેચ્યુઈટી અંગે કંટ્રોલિંગ ઓથોરિટી સમક્ષ દાવો ઉપસ્થિત કરવા સલાહ આપવામાં આવી છે. જ્યારે કુલ 73 કારખાના વિરૂદ્ધ કુલ-639 ફોજદારી કેસો દાખલ કરવામાં આવ્યા છે. તેમજ 31 ડિસેમ્હરની સ્થિતિએ બાકી રહેલ 38 ફરિયાદો સમયમર્યાદામાં કાર્યવાહી હેઠળ છે. અન્ય ફરિયાદોનો નિયમોનુસાર નિકાલ કરવાનું આવી રહેલ છે, તેમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતુ.