સુએજ ફાર્મના ટેક્સટાઇલ એકમો દ્વારા જીપીસીબીના આશીર્વાદથી છોડવામાં આવી રહેલ એસિડિક ગંદુ પાણી


જે ટેક્સટાઇલ એકમો ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા હતા તેઓ સુએઝ ફાર્મ વિસ્તારમાં તેમના એકમો સ્થાપિત કરેલ છે


અમદાવાદઃ ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા ટેક્સટાઇલ એકમોએ સુએઝ ફાર્મ વિસ્તારમાં તેમના એકમો સ્થાપિત કરેલ છે. જ્યાં તેઓ અત્યાર સુધી ગંદા પાણીનો નિકાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન દ્વારા સાબરમતી નદીમાં કરતા હતા, પરંતુ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ સખત આદેશો બાદ હવે તેઓ અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશનના CETPમાં નિકાલ કરી રહ્યા છે.


હેન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના નાના એકમોનો કોળીયો છીનવી સુએઝ ફાર્મના મોટા એકમોને ધરાવવા પાછળ કોનો દોરી સંચાર છે?


અમદાવાદના દાણીલીમડા અને બેહરામપુરા વિસ્તારના નાના હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એકમો દ્વારા એસોસિએશન બનાવી સરકારના દરેક સ્તરે રજૂઆતો કરી તેમના એકમો દ્વારા નીકળતા એસેડિક ગંદા પાણીને શુદ્ધ કરી સાબરમતી નદીમાં છોડવા માટે CETP બનાવામાં આવ્યું છે. આ CETP તૈયાર થતા સુએઝ ફાર્મના મોટા એકમો એ એસેડિક ગંદા પાણીના નાના જથ્થાનું CETPમાં બુકિંગ બતાવી જીપીસીબીની મંજુરી મેળવવાનો તખ્તો તૈયાર કરેલ છે.

એક વાર મંજુરી મળ્યા બાદ બેરોકટોક મોટા જથ્થામાં એસિડિક ગંદુ પાણી છોડવામાં આવશે. આમ અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિયેશનના મૂળ નાના એકમોના ભોગે સુએઝ ફાર્મ સ્થિત મોટા એકમો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી રહેલ છે.

સુએઝ ફાર્મ સ્થિત માત્ર ત્રણ ટેક્સટાઇલ એકમોને અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિયેશનના CETPમાં એસેડિક ગંદુ પાણી છોડવા માટેની મંજુરી મળેલ છે. તેમ છતાં હાલમાં 30 MLDની ક્ષમતા કરતા વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.


ક્યાં એકમો દ્વારા ક્યાં ધારા ધોરણોનું પાણી કેટલા જથ્થામાં છોડવામાં આવી રહ્યું છે, તેની કોઈ વ્યવસ્થા એસોસિયેશન દ્વારા કરવામાં આવેલ નથી


CETPના ઓપરેટર M/s L&T દ્વારા પણ એસોસિયેશનને આ અંગે તેમજ એસિડિક પાણી આવવા અંગે જણાવવામાં આવેલ છે. વધુ પડતું એસિડિક પાણી આવવાના કારણે CETP પણ પૂર્ણ રીતે કાર્યરત થઇ શકતો નથી. હાલમાં જીપીસીબી દ્વારા CETPની સ્થળ તપાસ કરતા ગંદા પાણીના  ઇનલેટ-આઉટલેટના ધારાધોરણો જળવાતા ના હોવાનું જણાયેલ છે. તેમજ ટરસરી પ્લાન્ટ બંધ હોવાનું જણાયેલ છે, જેના કારણે જીપીસીબી દ્વારા 30 દિવસની અસરથી ક્લોઝર ડાયરેક્શન આપવામાં આવેલ છે. જે માત્ર સુએઝ ફાર્મ સ્થિત ટેકસટાઇલ એકમોને બચાવવા માટે આપવામાં આવેલ હોવાનું જણાય છે. કારણકે ભૂતકાળમાં પણ જીપીસીબી દ્વારા અનેક CETPને આ પ્રકારની નોટિસ આપવામાં આવેલ હતી, પરંતુ કોઈ સખત પગલા લેવામાં આવેલ ન હતા.

જીપીસીબી ખરેખર જો સાબરમતી નદીને પ્રદૂષણમુક્ત કરવા ઇચ્છતી હોતી તો અમદાવાદ સ્ક્રિન પ્રિન્ટિંગ એસોસિયેશનને મૂળ સભ્યો સિવાયના તમામ જોડાણો બંધ કરાવી CETPમાં આવતો ગંદા પાણીનો જથ્થો નિર્ધારિત ધારાધોરણનો અને નિર્ધારિત જથ્થા સુધી સીમિત કરાવી શકે છે.

સુએઝ ફાર્મ સ્થિત અનેક એકમો દ્વારા જીપીસીબીના નિર્ધારિત નિયમોનું ઉલંઘન કરી ગંદુ પાણી સાબરમતીમાં છોડવામાં આવતું હોઈ તેમના અને જીપીસીબી  વિરુદ્ધ નેશનલ ગ્રીન ટ્યુબનલમાં રિટ પીટીશન થયેલ છે જેની અંતિમ સુનાવાણી ટૂંકા ગાળામાં હાથ ધરવામાં આવી શકે છે.

*File Photo