પાણીનું શુદ્ધિકરણનું સમાધાન લીલી ડુંગળીમાંથી મળી આવ્યું, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી લાઇફ સાયન્સ વિભાગનું સફળ સંશોધન

  • વિશ્વમાં સૌ પ્રથમ પાટણમાં લીલી ડુંગળીમાંથી પાણી શુદ્વીકરણનું સફળ સંશોધન
  • ગુજરાતના પાટણ જિલ્લામાં શુદ્ધ પાણીની સમસ્યાનું સમાધાન મળી ગયું
  • પાણી પીવામાં, ઉદ્યોગ એકમો અને ખેતીમાં વપરાશમાં લઈ શકાશે

અમદાવાદ: દુનિયામાં દિનપ્રતિદિન શુદ્ધ પાણીનો જથ્થો ખતમ થઈ રહ્યો છે. પાણીના શુદ્ધીકરણનો ખર્ચ પણ ખુબ મોટો હોય છે. પાણી વિના આપણને ચાલવાનું નથી એ વાત પણ એટલી જ સાચી છે. ત્યારે ગુજરાતના પાટણ જિલ્લામાં આ સમસ્યાનું સમાધાન મળી ગયું છે. વિશ્વમાં સૌ પ્રથમ પાટણમાં લીલી ડુંગળીમાંથી પાણી શુદ્વીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

વિશ્વમાં સૌપ્રથમ ખાવાની લીલી ડુંગળીની ફેંકી દેવામાં આવતી છાલનાં રસમાંથી અશુદ્ધપાણીને શુદ્ધ કરવાનું સફળ સંશોધન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં અશુદ્ધ પાણી વ્યર્થ જાય તેના અદલે તેનું શુદ્ધિકરણ કરી ફરી વપરાશમાં લઈ શકાય અને અશુદ્ધ પાણીના કારણે થતા કેન્સર જેવા ગંભીર રોગો અટકાવી શકાય તેવા ઉદ્દેશથી આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી લાઈફ સાયન્સ વિભાગના પ્રો. ડૉ. આશિષ પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. નિશા ચૌધરી અને ડૉ. વિરેન્દ્ર કુમાર યાદવની ટીમ દ્વારા ગુજરાત સહિત દેશમાં ખાવામાં ઉપયોગમાં લેવાતી ડુંગળીની ફેંકી દેવામાં આવતી છાલનો ઉપયોગ કરીને ઝીંક ઓક્સાઈડ (ZNO)ના નેનો પાર્ટીકલ્સ એટલે કે, અતિ સુક્ષ્મ ઘટકોનું સંશ્લેષણ સફળતાપૂર્વક કરી ડુંગળીની છાલમાંથી તૈયાર કરાયેલા ઝિંકના સૂક્ષ્મ ઘટકો પાણીમાં રહેલી અશુદ્ધીઓ દૂર કરી ફરી વરરાશમાં લઈ શકાય તેનું સફળ સંશોધન કાર્ય સફળ થતાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ટોપ ટેન MDPIની વોટર જનરલમાં પ્રકાશિત થયું છે. છાલમાંથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા ઝીંક ઓક્સાઇડના નેનો પાર્ટીકલ્સના ઉપયોગથી પ્રદૂષિત પાણીમાંથી હાનિકારક જૈવિક અશુદ્ધિઓ (નુકસાનકારક તત્વો)નું સૂર્યપ્રકાશની હાજરીમાં માત્ર બે કલાકમાં જ પાણીના કેમિકલ તેમજ હાનિકારક અશુદ્ધિઓ તોડી વિભાજીત કરી પાણી શુદ્ધ કરી વપરાશ લાયક બનાવી શકાય છે. આ પાણી પીવામાં, ઉદ્યોગ એકમો અને ખેતીમાં વપરાશમાં લઈ શકાશે.