વાતાવરણ માં અચાનક પલટો આવતા કર્મચારીઓ સતર્ક થયા રાજકોટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી ૬૦ હજાર ગુણી મગફળી ઢાંકવામાં આવી

હજુ તો શિયાળાની શરૂઆત થઈ હતી અને હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી કે આવનારા દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે જેના કારણે પાક પકવતા ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડ ધારકો ની ચિંતામાં વધારો કરી દીધો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કાલથી પહાડી રાજ્યોમાં બરફવર્ષા થશે તો મધ્ય ભારતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. પશ્ચિમ ભારતમાં થઈ રહેલી ગરબડને કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વરસાદનો રાઉન્ડ બે ડિસેમ્બર સુધી યથાવત રહી શકે છે.

ગુજરાતમાં ૧ અને ૨ ડિસેમ્બરે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ૬૦ હજાર ગુણી મગફળી પલળવાની ભીતિ છે. જોકે યાર્ડના કર્મચારીઓ દ્વારા આ મગફળીને ઢાંકવાની કામગીરી ચાલી રહી છે. વરસાદ પડશે તો જીરૂ, ચણા, ધાણા, ડુંગળી સહિતના શિયાળુ પાકને મોટા નુકસાનનો ભય પણ ખેડૂતોમાં સતાવી રહ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, યાર્ડના સત્તાધીશો અને કર્મચારીઓ દ્વારા ખેડૂતોને એક પણ રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો ન આવે તેવી ગોઠવણ કરવામાં આવી છે. આજે હરાજી ચાલુ છે, જે પણ ખેડૂતની મગફળી ખરીદવામાં આવે તેને રોકડા રૂપિયા આપી દેવામાં આવશે. બાકી વધતા ખેડૂતોનો પાક પડ્યો હશે તેને સારી રીતે સંભાળીને ઢાંકી દેવામાં આવશે. વરસાદની આગાહી હળવી પડશે ત્યારબાદ તેની હરાજી કરવામાં આવશે. માર્કેટ યાર્ડ ૭ વર્ષથી કાર્યરત છે, પરંતુ ખેડૂતોના પાકની જાળવણી માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી તે અમારા માટે દુખની વાત છે. નવા સત્તાધિશો કમાન સંભાળે ત્યારે સૌપ્રથમ શેડ બનાવવાની માગ કરવામાં આવશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પશ્ચિમી મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં એક અને બે ડિસેમ્બરે ઝડપી હવાઓ સાથે વરસાદ થશે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સાથે લોકો વહેલી સવારથી બપોરે ૧૨ વાગ્યા સુધી વાતાવરણમાં ઠંડકનો અનુભવ કરી રહ્યા છે તો ૧૨ વાગ્યા બાદ ગરમી શરૂ થઈ જાય છે જે સાંજે સાતેક વાગ્યા સુધી યથાવત રહે છે અને ફરી વાતાવરણમાં ટાઢોડાનો અનુભવ થાય છે. આ પ્રકારના વાતાવરણને કારણે શરદી-ઉધરસ સહિતના રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે યાર્ડના અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિને લઇને ખેડૂતોને પહેલેથી જ નુકસાન થયું છે. ત્યારે હાથમાં આવેલો પાક લઇ ખેડૂતો માર્કેટ યાર્ડ પહોંચ્યા છે. પરંતુ જો માવઠું થશે તો ખેડૂતોને મોટુ નુકસાન ભોગવવાનો વારો આવશે. હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ખુલ્લા પટમાં ૬૦ હજાર ગુણી મગફળી ઠલવવામાં આવી છે, જો વરસાદ પડશે તો તમામ મગફળી પલળવાની ભીતિ છે. પરંતુ વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા જે ખેડૂતોનો પાક ખુલ્લામાં પડ્યો છે તેને ઢાંકી દેવામાં આવશે. ખેડૂતોને એક પણ રૂપિયાની ચિંતા કરાવવા દેવામાં આવશે નહીં.