ખરીફ ઋતુ માટે ગુણવત્તાયુક્ત બીયારણ ખેડૂતોને સમયસર મળી રહે તે માટે કૃષિ મંત્રી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બીજ નિગમના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખેડૂતોને ખરીફ-૨૦૨૩ ઋતુ માટે ગુણવત્તા યુક્ત બીયારણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ બીયારણ સમયસર મળી રહે તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.  ગુજરાતમાં ખરીફ ઋતુ માટે ગુણવત્તાયુક્ત બીયારણ ખેડૂતોને સમયસર મળી રહે તે માટે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ખેતી નિયામક, બાગાયત નિયામક તેમજ રાજ્ય બીજ નિગમના મેનેજીંગ ડિરેક્ટર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે બીજ નિગમ દ્વારા જે તે વિસ્તારના પ્રતિષ્ઠીત અને પ્રગતિશીલ ખેડૂતો પાસે બીજ ઉત્પાદન કાર્યક્રમ હાથ ધરાવી ઉત્પાદીત થયેલ બિયારણનું ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી પાસે બીજ પ્રમાણન કરાવી રાજયના ખેડૂતોને સમયસર ગુણવત્તાયુક્ત બિયારણ પુરૂ પાડે છે. બીજ નિગમ દ્વારા મુખ્ય પાકો જેવા કે ઘઉં, ડાંગર, મગફળી, હા.દિવેલા, સોયાબીન, ચણા, મગ, જીરૂ, બી.ટી કપાસ સહીતના કુલ ૨૪ પાકોની અંદાજે ૧૦૧ જાતોના બિયારણોનુ ઉત્પાદન કરવામાં આવે છે. રાજયની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સંશોધિત નોટીફાઇડ જાતોના બિયારણોનું રાજય બીજ નિગમ દ્વારા મલ્ટીપ્લેકશન કરી પ્રમાણિત બિયારણ ખેડૂતોને વ્યાજબી ભાવે પુરૂ પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

બીજ નિગમનો હેતુ સિદ્ધ થાય તે મુજબ વ્યાજબી ભાવે, ગુણવતા યુક્ત, સમયસર, પુરતું બીજ ઉત્પાદિત કરી વિતરણ કરવામાં આવે છે. જેથી, બીજ નિગમ વ્યાજબી ભાવે પુરતું બીજ પુરું પાડી ભાવ નિયંત્રણ કરવાની ભુમિકા પણ ભજવે છે. રાજ્યના ખેડુતોને ગુણવત્તા યુક્ત સર્ટીફાઇડ બિયારણોનો વધુમાં વધુ જથ્થો બીજ નિગમ દ્વારા ઉપલબ્ધ કરાવવા બીજ નિગમ મારફત લેવાતા બીજ ઉત્પાદન કાર્યક્રમનો વિસ્તાર વધારવા મંત્રીએ સંબંધિતોને સૂચના આપી હતી.

તેમણે કહ્યું હતું કે રાજ્ય બીજ નિગમ દ્વારા હાથ ધરવામાં આવેલ જુદા જુદા પાક/જાતોના બીજ ઉત્પાદન કાર્યક્રમમાંથી ઉત્પાદીત થયેલ કુલ ૧,૦૭,૭૭૦ ક્વિ. ગુણવત્તા યુક્ત બીજ જથ્થા જથ્થાનું બીયારણ ખરીફ-૨૦૨૩માં રાજ્યના ખેડૂતોને  વિતરણ / વેચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મગફળી (ડોડવા), મગફળી (દાણા), ડાંગર, મગ, અડદ, સોયાબીન, તુવેર, હા. દિવેલા, હા. કપાસ, મકાઇ, બાજરા, તલ, ઘાસચારા પાકોની જાતવાર ઉપલબ્ધ જથ્થા અંગે મંત્રી શ્રી દ્વારા બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ૭૧૯૮૬ ક્વિ. મગફળી, ૧૫૦૬૨ ક્વિ. ડાંગર, ૮૩૨૮ ક્વિ. સોયાબીન, ૯૦૫૮ ક્વિ. હા.દિવેલા તેમજ ૮૦૦૦  ક્વિ. કઠોળ પાકોના બિયારણનો જથ્થો ખરીફ-૨૩માં રાજયના ખેડૂતોને વેચાણ-વિતરણ કરવા તૈયાર કરવામાં આવશે.

મગફળી પાકમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ મળી રહે તેનું આગોતરૂ આયોજન કરવું તેમ  જણાવી મંત્રી એ કહ્યું હતું કે, મગફળી પાકમાં નવી નવી જાતોના વાવેતર કરવા માટે ખેડૂતોની ડીમાન્ડને ધ્યાને લઇ, આગામી વર્ષમાં ૧૦ થી ૧૫ % જેટલો વધુ બીજ જથ્થો ઉત્પાદીત થાય તે મુજબ આયોજન કરવામાં આવનાર છે. વધુમાં બિયારણનો જથ્થો સમયસર ઉપલબ્ધ થાય તે મુજબ ત્રણ વર્ષનું આગોતરૂ આયોજન કરી સમયમર્યાદામાં બિયારણ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

મંત્રીએ કહ્યું હતું કે, પ્રમાણિત બિયારણોનો વપરાશ વધે તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી પર વધુ ભાર મૂકવો જોઇએ. રાજયની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સંશોધિત નોટીફાઇડ જાતોના બિયારણોનું ગુજરાત રાજય બીજ નિગમ દ્વારા મલ્ટીપ્લેકશન કરી પ્રમાણિત બિયારણ ખેડૂતોને વ્યાજબી ભાવે પુરૂ પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય બીજ નિગમમાં મહેકમ સમયસર ભરાય અને બીજ નિગમમાં બીજ અધિકારી વર્ગ-૨ની ૪૧ ટેકનીકલ સ્ટાફની ભરતી તેમજ ૧૪ નોન-ટેકનીકલ સ્ટાફ વર્ગ-૩ની ભરતીમાં વધુ ઝડપ આવે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને મંત્રી પટેલે જણાવ્યું હતું.