નવાગામના ટ્રાન્સફોર્મરમાં તણખા ઝરતા કચરામાં લાગી આગ, આખા વિસ્તારમાં અંધારપટ છવાયો

જામનગરના નવાગામ વિસ્તારમાં ખાનગી દવાખાનાની બાજુમાં ટ્રાન્સફોર્મરમાં અચાનક સ્પાર્ક થતા બાજુમાં પડેલા કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. જે અંડરગ્રાઉન્ડ ૧૧ કેવીના વાયર સુધી પહોંચી હતી. જેના કારણે આજુબાજુના તમામ વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. બનાવની જાણ થતાં વીજતંત્રએ ગણતરી કલાકોમાં વૈકલ્પિક રીતે વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો.

જામનગરમાં નવાગામ વિસ્તારમાં આવેલા ખાનગી દવાખાનાની બાજુમાં ટ્રાન્સફોર્મરમાં મંગળવારે સાંજના સમયે સ્પાર્ક થતા બાજુમાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગી હતી. થોડી જ મિનિટોમાં ત્યાં આવેલો અંડર ગ્રાઉન્ડ ૧૧ કેવીનો એક્સએલપી કેબલ પણ આગની લપેટમાં આવી ગયો હતો. આથી નવાગામ પંચાયત, ગાયત્રી ચોક,રાજપૂત સમાજની વાડી, મધુરમ, કબીરનગર, આનંદ સોસા., ખડખડનગર, આર્મી લાઈન સહિતના વિસ્તરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આટલું ઓછું હોય તેમ નવાગામ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર પાસેના ટ્રાન્સફોર્મરમાં ટેકનીકલ ક્ષતિ થતાં ધડાકા સાથે ફેઇલ થઇ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા વીજ તંત્રના એચટી અને સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના ટેકનીકલ કર્મચારીઓ તથા અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને ૧૧ કેવી ફીડરને અન્ય ફીડર સાથે જોડીને વૈકલ્પિક રીતે વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો.