જામનગરમાં રહેણાંક મકાનમાં લાગી આગ, ૭૦ વર્ષના વૃદ્ધાનું મોત

રાજ્યમાં આગ લાગવાનો સિલસિલો યથવાત જાેવા મળી રહ્યો છે. એક પછી એક આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક આગની ઘટના જામનગરથી સામે આવી છે. જામનગરમાં રહેણાંક મકાનમાં આગ લાગતા વૃદ્ધાનું મોત થયું છે. ફાયર ફાઇટર ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.ત્યાર બાદ તપાસ કરતા કુકર ફાટતા અને શોર્ટ સર્કિટ થવાની આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. હાલ આગને કાબુમાં લેવા કામગીરી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, જામનગર શહેરના ગાંધીનગર સ્મશાન પાસેના વિસ્તારમાં આવેલા દિલીપસિંહ ખોડુભા જાડેજાના મકાનમાં આજે સવારના સમયે કોઇ કારણસર આગ લાગી હતી અને આ આગમાં ઘરનો સામાન પણ સળગવા લાગ્યો હતો તેમજ મકાનમાં રહેલા વસંતબા નામના આશરે ૭૦ વર્ષના વૃધ્ધા ગંભીર રીતે દાઝી ગયા હતાં અને ઘટનાસ્થળે જ વૃધ્ધાનું મોત નિપજ્યું હતું.

તેમજ આગ લાગ્યાની જાણ થતા ફાયરવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. આ અંગે પોલીસમાં પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જાે સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.