વાવાઝોડાનાં સંકટ વચ્ચે ૭૩ સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્રોમાં સ્થળાંતરિત કરાઈ

બિપરજોય વાવાઝોડા સંદર્ભે જામનગરની જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વ્યાપક પગલાંઓ લેવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ ભાયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને આપદાનો સામનો કરવા સજ્જ કરાયા છે. બિપરજોય વાવાઝોડાના પગલે રેપીડ રિસ્પોન્સ મેડિકલ ટીમ તેમજ મોબાઈલ મેડિકલ ટીમ દરિયાકાંઠાના ગામોમાં ફરી નાદુરસ્ત લોકોના આરોગ્ય તથા આશ્રયને લગતી તમામ કાળજીઓ લઈ રહી છે. જિલ્લા આરોગ્યની ટીમે આજ રીતે તમામ સંભવિત અસરગ્રસ્ત ગામોમાં પહોંચી આગામી અઠવાડીયા દરમિયાન જે સગર્ભાઓની પ્રસૂતિ થવાની હોય તેવી ૭૩ બહેનોને દરીયાકાંઠા નજીકના જોખમી અને ભયજનક વિસ્તારમાંથી સ્થળાંતરિત કરી પ્રસૂતિ થઈ શકે તેવા નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારી એમ્બ્યુલન્સ મારફતે રીફર કરવામાં આવી છે.

આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ તેઓની પૂર્વ પ્રસૂતિ અંગેની સતત કાળજી રાખી રહ્યા છે અને તમામ જીવન જરૂરી આનુષંગિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન ૭૩ પૈકીની ૯ સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂતિ પણ કરાવી સુરક્ષિત આશ્રયસ્થાન પુરૂ પાડવામાં આવ્યું છે.